India vs England: રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે બાદ નહીં રમે, ડ્રોપ થઈ જશે, એ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહ્યું. ત્યારબાદ BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ વાતનું ખંડન કર્યું, જોકે તેમણે એ સ્પષ્ટ ન કહ્યું કે રોહિત 2027 વનડે વર્લ્ડ કપ ટીમનો હિસ્સો હશે કે નહીં. પરંતુ હવે આ અહેવાલો પર ખુદ રોહિત શર્માનું પહેલું નિવેદન આવી ગયું છે. તેમણે લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રીજી અને નિર્ણાયક મેચ બાદ આ અંગે વાત કરી.
ઇંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી વનડેમાં રોહિત શર્માએ 138 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી. તે ભારતનો પ્રથમ ખેલાડી બન્યો, જેમણે લોર્ડ્સ ગ્રાઉન્ડ પર વનડે સદી ફટકારી. 110 બોલમાં રમાયેલી આ ઇનિંગ્સમાં તેમણે 5 છગ્ગા અને 17 ચોગ્ગા ફટકાર્યા. તેમણે શુભમન ગિલ સાથે 147 રનની ભાગીદારી કરી અને ત્યારબાદ વિરાટ કોહલી સાથે પણ સદીની ભાગીદારી કરી. જોકે ભારત આ મેચ હારી ગયું. આ અંગે રોહિતે કહ્યું, "અમે બર્મિંગહામમાં જીત સાથે સારી શરૂઆત કરી હતી, પછી કાર્ડિફમાં હારી ગયા. આજે બેટિંગમાં સારી શરૂઆત કરી, પરંતુ તેમ છતાં હારી ગયા."
આ પણ વાંચો.....લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
નિવૃત્તિના અહેવાલો પર શું બોલ્યો રોહિત શર્મા
રોહિત શર્માએ કહ્યું, "મારું કામ સારી બેટિંગ કરવાનું છે. મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનું છે. જ્યારથી મેં ડેબ્યૂ કર્યું છે, ત્યારથી જ આ બહારની વાતો થતી આવી છે. જ્યાં સુધી હું અહીં છું, આવી વાતો થતી રહેશે. આ બધું મારા માટે કોઈ મહત્વ નથી રાખતું. જે મહત્વ રાખે છે તે એ છે કે હું મેદાન પર શું કરું છું. હું મારો સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરું છું, મારી ટીમની સફળતામાં યોગદાન આપવાનો પ્રયાસ કરું છું. અને અત્યારે મારો માત્ર આના પર જ ફોકસ છે. અને આ બહારની વાતોને થવા દો, કારણ કે જો આ નહીં થાય તો મજા નહીં આવે. મારું કામ ગ્રાઉન્ડની અંદર છે અને તેમનું બહાર."
રોહિત શર્માએ કહ્યું, "હારથી નિરાશ છું, જ્યારે અમે સારી શરૂઆત કરી હતી. અમે 20-25 રન (27) પાછળ રહી ગયા. જ્યારે અમે બોલિંગની વાત કરીએ છીએ તો સમજવું પડશે કે ઘણા ખેલાડીઓ છે, જેમણે વધારે વનડે ક્રિકેટ નથી રમ્યું. તેમને સમય આપવો પડશે." પોતાની ઇનિંગ્સ અંગે કહ્યું કે ઇંગ્લેન્ડમાં રમવું પસંદ છે અને આ ઇનિંગ્સને પણ એન્જોય કરી, પરંતુ પરિણામથી નિરાશ છું.
