Sanju Samson vs Abhishek Sharma: ટીમ ઈન્ડિયા (Team India) માટે પસંદગી પ્રક્રિયા અને ખેલાડીઓ પ્રત્યેના વલણને લઈને ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો છે. તાજેતરમાં જ ભારતે ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20 શ્રેણી 3-0 થી શાનદાર રીતે જીતી લીધી. પરંતુ આ સિરીઝમાં યુવા અને સ્ટાર ઓપનર અભિષેક શર્માનું પ્રદર્શન સાવ નિરાશાજનક રહ્યું હતું. અભિષેકના આ સતત ફ્લોપ શો છતાં પણ ટીમ મેનેજમેન્ટ દ્વારા તેને જે રીતે બેક (ટેકો) કરવામાં આવી રહ્યો છે, તેનાથી ભારતીય ક્રિકેટર હનુમા વિહારી નારાજ થયા છે. તેમણે મેનેજમેન્ટ સામે સીધો સવાલ ઉઠાવ્યો છે કે શા માટે સંજુ સેમસન અને અભિષેક શર્મા માટે બે અલગ-અલગ ધોરણો (Double Standards) અપનાવવામાં આવી રહ્યા છે? થોડી મેચોમાં નિષ્ફળ જતા સંજુને તરત જ પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી દેવામાં આવે છે, જ્યારે અભિષેકને સતત તકો શા માટે અપાઈ રહી છે?
અભિષેક શર્માનું કંગાળ પ્રદર્શન
તાજેતરમાં પૂરી થયેલી ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણીમાં અભિષેક શર્મા રન બનાવવા માટે ભારે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ત્રણ મેચોની આ સિરીઝમાં તેણે અનુક્રમે માત્ર 01, 08 અને 02 રન જ બનાવ્યા હતા. આટલા ખરાબ પ્રદર્શન છતાં તેને ટીમમાં યથાવત રાખવામાં આવ્યો છે. આ બાબતે હનુમા વિહારીએ આશ્ચર્ય વ્યક્ત કરતા ટીમ ઈન્ડિયાની નીતિઓ પર આકરા સવાલો કર્યા છે.
સંજુ સેમસન સાથે કેમ આવો અન્યાય?
હનુમા વિહારીનું સ્પષ્ટ માનવું છે કે 2026 T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, જ્યારે સંજુ સેમસન માત્ર થોડીક મેચોમાં નિષ્ફળ ગયો હતો, ત્યારે જ તેને પ્લેઇંગ ઇલેવનમાંથી નિર્દયતાથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પોતાની યુટ્યુબ ચેનલ પર આ મુદ્દે વાત કરતા હનુમાએ કહ્યું, "વર્લ્ડ કપ પહેલા, સંજુ માત્ર પાંચ મેચમાં સારું પ્રદર્શન નહોતો કરી શક્યો અને તેને પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું. જોકે, તે પછીથી શાનદાર રીતે પાછો ફર્યો અને 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' પણ બન્યો. તો પછી અભિષેકે તે ટુર્નામેન્ટમાં કેટલા રન બનાવ્યા હતા?"
આ પણ વાંચોઃ શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
અભિષેકના આંકડાઓ ખોલી રહ્યા છે પોલ
હનુમા વિહારીએ યુકે (UK) પ્રવાસ દરમિયાન અભિષેક શર્માના પ્રદર્શન પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે આંકડાઓ સામે રાખતા કહ્યું, "યુકે સિરીઝમાં માત્ર એક ફિફ્ટી (અડધી સદી) સિવાય અભિષેકે કશું જ ઉકાળ્યું ન હતું. તે 20 કે 30 રનના સ્કોર સુધી પણ નહોતો પહોંચી શક્યો. છેલ્લી 6 મેચમાં તેના નામે માત્ર એક જ ફિફ્ટી છે. જો તમે વર્લ્ડ કપની મેચોને પણ ગણતરીમાં લો, તો છેલ્લી 18 મેચોમાં તેણે કુલ ત્રણ જ ફિફ્ટી ફટકારી છે."
કોઈ આ બાબતે વાત કેમ નથી કરતું?
ભારતીય ટીમના આ બેવડા ધોરણો પર વધુ સવાલ ઉઠાવતા હનુમાએ ઉમેર્યું કે, વર્લ્ડ કપમાં સતત ત્રણ ફિફ્ટી ફટકારવા છતાં સંજુ સેમસનને માત્ર યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને સ્થાન આપવા માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હનુમાએ કહ્યું, "સંજુએ વર્લ્ડ કપમાં કેટલી મેચ રમી? માત્ર ત્રણ. અને તેણે એ ત્રણેય મેચમાં ફિફ્ટી ફટકારી હતી! જ્યારે બીજી તરફ, પાંચ મેચમાં અભિષેક શર્માનો સર્વોચ્ચ સ્કોર માત્ર 16 રન છે. આટલો મોટો તફાવત હોવા છતાં આ વિશે કોઈ વાત કેમ નથી કરી રહ્યું? જ્યારે પણ સંજુ સેમસનની ચર્ચા થાય છે, ત્યારે લોકો તેને 'નોન-સ્કોરર' (રન ન બનાવનાર) નું લેબલ લગાવી દે છે. ચાલો માની લઈએ કે તે ક્યારેક રન નથી બનાવતો, પણ જો તેનો દિવસ હોય, તો તે એકલા હાથે હાઈ-પ્રેશર (વધુ દબાણવાળી) મેચ જીતાડવાની પૂરી ક્ષમતા ધરાવે છે."
આ પણ વાંચોઃ પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
