Shaheen Shah Afridi On IND vs PAK: પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ મોટું નિવેદન આપતા કહ્યું કે તે ભારત સામે 5 વિકેટ લેશે. શાહિને પોતાના નિવેદનથી ભારે હલચલ મચાવી દીધી છે. વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબર શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ચાહકો આ શાનદાર મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહીનના આ નિવેદનથી ફેન્સની ઉત્સુકતા વધુ વધી હશે.               






પહેલીવાર ભારતમાં રમવા આવેલા શાહીન આફ્રિદીએ ભારત સામેની મેચ પહેલા કહ્યું હતું કે તે ભારત સામે 5 વિકેટ લેશે. શાહીન અત્યાર સુધીમાં 46 વન-ડે મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે બે વખત 5 વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં શાહીનને ભારત સામે નવા બોલ સાથે બોલિંગ ફેંકતો જોવાનું રસપ્રદ રહેશે.                 


જો કે, શાહીન અત્યાર સુધીની બે મેચમાં ખૂબ જ ખરાબ ફોર્મમાં જોવા મળ્યો છે. બંને મેચમાં (નેધરલેન્ડ અને શ્રીલંકા સામે) તેને માત્ર 1-1થી જ સફળતા મળી છે.           


શાહીન આફ્રિદીએ વન-ડે વર્લ્ડ કપ પહેલા રમાયેલા એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયા સામે બે મેચ રમી હતી. ભારત વિરૂદ્ધ ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચમાં શાહીને 10 ઓવરમાં માત્ર 35 રન આપીને 4 વિકેટ ઝડપી હતી, જેમાં તેણે વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાને આઉટ કર્યા હતા. જો કે વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી.                                


ત્યારબાદ સુપર-4 તબક્કાની બીજી મેચમાં ભારત સામે શાહીન સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો. પાકિસ્તાની ફાસ્ટ બોલર ભારત સામે માત્ર એક જ સફળતા મેળવી શક્યો. તેણે 10 ઓવરમાં 7.90ની ઇકોનોમી સાથે 79 રન આપ્યા હતા.


ભારત સામે શાહીન આફ્રિદીના એકંદરે વન-ડે રેકોર્ડની વાત કરીએ તો પાકિસ્તાની બોલરે ભારત સામે અત્યાર સુધીમાં ત્રણ વન-ડે રમી છે, જેમાં તેણે 31.20ની એવરેજથી 5 વિકેટ ઝડપી છે.