નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વર્લ્ડ કપ બાદ બેટિંગ પર ફોક્સ કરવા માટે ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. હવે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ આગામી ટી-20 વર્લ્ડ કપ બાદ પદ છોડી શકે છે. જોકે, બીસીસીઆઈ કે ખુદ શાસ્ત્રી તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.


ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી-20 વર્લ્ડકપ બાદ ખતમ થઈ રહ્યો છે. બીસીસીઆઈ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ દક્ષિણ આફ્રિકા પ્રવાસ સુધી લંબાવવા માંગતું હતું પરંતુ તેણે ત્યાં સુધી કોચ પદ પર રહેવાનો ઈનકાર કર્યો છે. બીસીસીઆઈને હવે ટી-20 વર્લ્ડકપ બાદ નવા કોચની જરૂર છે. સાઉથ આફ્રિકા પ્રવાસ માટે દ્રવિડ કામચલાઉ કોચની ભૂમિકામાં નજરે પડી શકે છે.






કોણ બની શકે છે નવો કોચ


ટીમ ઈન્ડિયાના કોચ તરીકે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અનિલ કુંબલેની વાપસીની પ્રબળ શક્યતા છે. સૌરવ ગાંગુલીની આગેવાનીવાળી બીસીસીઆઈ અનિલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને ટી-20 વર્લ્ડકપ બાદ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થવા પર મુખ્ય કોચ પદ માટે અરજી કરવાનું કહી શકે છે.


અનિલ કુંબલે 2016-17માં એક વર્ષ માટે ભારતીય ટીમનો કોચ હતો. તે સમયે સચિન તેંડુલકર, લક્ષ્મણ અને ગાંગુલીની અધ્યક્ષતાવળા ક્રિકેટ સલાહકાર સમિતિએ તેની શાસ્ત્રીના સ્થાને નિમણૂક કરી હતી. પરંતુ કેપ્ટન કોહલી સાથે મતભેદના કારણે કુંબલેએ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હાર બાદ રાજીનામું આપ્યું હતું.


અનિલ કુંબલે કોચ બનવા માટે રાજી થશે કે નહીં તેના પર હજુ કંઈ કહી શકાય નહીં. નામ ન જાહેર કરવાની શરત પર બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું, અનિલ કુંબલેને બહાર કાઢવાના પ્રકરણમાં સુધારો કરવાની જરૂર છે. જે રીતે સીઓએ કોહલીના દબાણમાં આવીને તેને હટાવ્યા હતા તે સારું ઉદાહરણ નહોતું. કોહલી અને લક્ષ્મણ કોચ માટે અરજી કરવા પર રાજી થશે કે નહીં તે વાત પર નિર્ભર છે.