કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્યને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.  ગાંગુલીની તબિયતને લઈ કોલકાતાની વુડલેંડ હોસ્પિટલનું મોટું નિવેદન સામે આવ્યું છે. જે મુજબ સૌરવ ગાંગુલીની તબિયત સ્થિર છે.  તેણે પોતાની મેળે હોસ્પિટલમાં એક દિવસ રોકવાનો નિર્ણય લીધો છે. આવતીકાલે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે.


ગત શનિવારે ગાંગુલીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. મમતા બેનર્જી, રાજ્યપાલ સહિત અનેક લોકો ખબર અંતર પૂછવા હોસ્પિટલમાં આવ્યા હતા.  પ્રધાનમંત્રી મોદી સહિત અનેક લોકોએ ફોન કરીને ગાંગુલીના ખબરઅંતર પૂછ્ય હતા. ગાંગુલીએ પીએમ મોદીને કહ્યું કે, તે સારો અનુભવ કરી રહ્યો છે. મોદીએ તેની પત્ની ડોના સાથે પણ વાત કરી હતી.



સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા 2003ના વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું હતું. આ ઉપરાંત નેટવેસ્ટ સીરિઝ પણ જીતી હતી. ગાંગુલીની કેપ્ટનશિપમાં જ ટીમ ઈન્ડિયાને ધોની, યુવરાજ, ઝહીર જેવા ધુરંધરો મળ્યા હતા. ગાંગુલીની ગણના ભારતના સૌથી સફળ કેપ્ટન પૈકીના એકમાં થાય છે.

દાદાના હુલામણા નામે જાણીતા ગાંગુલીએ 113 ટેસ્ટમાં 42.2ની સરેરાશથી 7212 રન બનાવ્યા છે. જેમાં 16 સદી અને 35 અડધી સદી સામેલ છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 239 રન છે. જ્યારે 311 વન ડેમાં 73.7ના સ્ટ્રાઇક રેટછી 11,363 રન બનાવ્યા છે. વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 183 રન છે. તેણે વન ડેમાં 22 સદી અને 72 અડધી સદી લગાવી છે. આ ઉપરાંત આપીએલની 59 મેચમાં તેણે 1349 રન બનાવ્યા છે.