Steve Smith Retirement: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઇનલમાં હાર બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે સ્મિથની કેપ્ટનશીપ હેઠળ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી રમી હતી. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. આ મેચ પછી સ્મિથે વન-ડે માંથી નિવૃત્તિ લીધી હતી. તેણે ટીમ ઈન્ડિયા સામે પોતાની કારકિર્દીની છેલ્લી વનડે મેચ રમી હતી.
સ્ટીવ સ્મિથની વનડે કારકિર્દી શાનદાર રહી છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે 170 મેચમાં 5800 રન બનાવ્યા છે. સ્મિથે આ ફોર્મેટમાં 12 સદી અને 35 અડધી સદી ફટકારી છે. તેમનો શ્રેષ્ઠ વનડે સ્કોર 164 રન રહ્યો છે. સ્મિથે ઓસ્ટ્રેલિયા માટે ઘણી મોટી તકોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ભારત સામે પણ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ હવે તેણે વનડે ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
સ્ટીવ સ્મિથે નિવૃત્તિ પર શું કહ્યું?
cricket.com.au ના રિપોર્ટ અનુસાર, સ્મિથે નિવૃત્તિ પછી કહ્યું હતું, દરેક ક્ષણ મારા માટે મહત્વપૂર્ણ રહી છે. તે એક અદભૂત સફર હતી. મારી કારકિર્દી દરમિયાન મેં ઘણી સારી યાદો એકઠી કરી છે. બે વર્લ્ડ કપ જીતવા એ મારી કારકિર્દીની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ હતી. હવે અન્ય ખેલાડીઓ માટે 2027ના ODI વર્લ્ડ કપ માટે તૈયારી કરવાની સારી તક છે.
સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો કારમો પરાજય
ઓસ્ટ્રેલિયાની હાર બાદ સ્ટીવ સ્મિથે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચ્યું હતું. પરંતુ અહીં તેને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો. સ્ટીવ સ્મિથે સેમિફાઇનલમાં 73 રનની ઇનિંગ રમી હતી.
ભારત સામે સ્મિથનું વન-ડે પ્રદર્શન આ પ્રકારનું હતું
સ્મિથે પોતાની કારકિર્દી દરમિયાન ટીમ ઈન્ડિયા સામે 30 વનડે મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 1383 રન કર્યા હતા. સ્મિથે ટીમ ઈન્ડિયા સામે 5 સદી અને 7 અડધી સદી ફટકારી છે. સ્મિથે ભારત સામે સૌથી વધુ વનડે રન બનાવ્યા છે. તેણે ઇંગ્લેન્ડ સામે 40 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 1245 રન બનાવ્યા છે. સ્મિથે ઇંગ્લેન્ડ સામે એક સદી અને 6 અડધી સદી ફટકારી છે.