નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ શરૂ થઇ ચૂકી છે. પુણેમાં રમાયેલી પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત દમ બતાવતા ઇંગ્લેન્ડને 66 રનથી હાર આપી હતી. આવતીકાલે 26 માર્ચે બન્ને ટીમો વચ્ચે બીજી વનડે મેચ રમાવવાની છે. પરંતુ આ મેચ પહેલા  ભારતીય ટીમમાં ફેરફાર થવાની વાત  સામે આવી છે. રિપોર્ટ છે કે  ભારતીય ટીમમાં બે મોટા ફેરફારો થઇ શકે છે. 


રિપોર્ટ પ્રમાણે, આઇપીએલમાં શાનદાર ફોર્મ બતાવીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા સૂર્યકુમાર યાદવને  ભારતીય ટીમ તરફથી વનડે મેચોમાં ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે. ઇજાગ્રસ્ત શ્રેયસ અય્યરની જગ્યાએ સૂર્યકુમાર યાદવ મીડિલ ઓર્ડરમાં બેટિંગની જવાબદારી સંભાળી શકે છે. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં ફિલ્ડિંગ દરમિયાન શ્રેયસ અય્યર ગ્રાઉન્ડ પર જ ફિલ્ડિંગ કરવા જતા ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. બાદમાં તે મેદાન પર પરત ફરી શક્યો ન હતો. રિપોર્ટ પ્રમાણે અય્યરની ઇજા ગંભીર છે. બીસીસીઆઇએ પણ જાહેરાત કી દીધી છે કે શ્રેયસ અય્યર ઇંગ્લેન્ડ સામેની બાકીની બન્ને મેચો એટલે કે સીરીઝમાંથી બહાર રહેશે. 


શ્રેયસ અય્યરની ઇજાના કારણે બીજી વનડેમાં 30 વર્ષીય ઘાતક બેટ્સમેન સૂર્યકુમારને ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે. અગાઉ ટી20 સીરીઝમાં સૂર્યકુમારએ ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કરતા શાનદાર બેટિંગ કરતા ફિફ્ટી ફટકારી હતી. બીજા એક રિપોર્ટ પ્રમાણનુ માનીએ તો રોહિત શર્મા પણ ઇજાના કારણે બીજી વનડે ગુમાવી શકે છે, રોહિતની જગ્યાએ શુભમન ગીલને મોકો મળી  શકે છે. 


ભારતીય વનડે ટીમ આ પ્રકારે છે.....
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગીલ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડ્યા, વૉશિંગટન સુંદર, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધિ ક્રિષ્ણા, શાર્દૂલ ઠાકુર.