Suryakumar Yadav statement India vs Pakistan 2026: ICC દ્વારા T20 વર્લ્ડ કપ 2026 નું શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ક્રિકેટ વિશ્વની સૌથી મોટી મેચ એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 15 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાના કોલંબોમાં રમાશે. આ હાઈ-વોલ્ટેજ મેચને લઈને ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મહત્વની પ્રતિક્રિયા આપી છે. ભલે ભૂતકાળમાં તેમણે બંને ટીમો વચ્ચેની 'હરીફાઈ' (Rivalry) ના અસ્તિત્વ પર સવાલો ઉઠાવ્યા હોય અને ભારતના પલડાને ભારે ગણાવ્યું હોય, પરંતુ આ વખતે તેમણે સ્વીકાર્યું છે કે આ મેચ હંમેશા રોમાંચક હોય છે અને ભારતીય ખેલાડીઓ પણ તેના માટે સુપર એક્સાઈટેડ હોય છે.
કોલંબોમાં ટકરાશે ભારત અને પાકિસ્તાન
આગામી T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો બ્લોકબસ્ટર મુકાબલો 15 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાના કોલંબો ખાતે રમાવાનો છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની કમાન વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવના હાથમાં રહેશે. ઇતિહાસ પર નજર કરીએ તો, T20 વર્લ્ડ કપમાં ભારતનું પલડું હંમેશા એકતરફી ભારે રહ્યું છે. બંને ટીમો 7 વખત આમને-સામને આવી છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 6 વખત જીત મેળવીને પોતાનો દબદબો સાબિત કર્યો છે.
સૂર્યકુમાર યાદવની પ્રતિક્રિયા: "અમારું ગ્રુપ સારું છે"
વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત કાર્યક્રમ દરમિયાન સૂર્યકુમાર યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, "અમારું ગ્રુપ ઘણું સંતુલિત દેખાઈ રહ્યું છે. 15 ફેબ્રુઆરીએ યોજાનારી ભારત-પાકિસ્તાન મેચની વાત કરીએ તો, અમે તાજેતરમાં જ એશિયા કપમાં તેમની સામે રમ્યા હતા. તે સમયે દરેકનું ધ્યાન માત્ર ક્રિકેટ પર હતું, બીજી કોઈ બાબત પર નહીં. જેવી રીતે તમે સૌએ જોયું હશે, આ એક શાનદાર મુકાબલો બની રહેશે. ભારતીય ખેલાડીઓ હંમેશા પાકિસ્તાન સામેની મેચ રમવા માટે થનગનતા અને ઉત્સાહિત હોય છે."
ગ્રુપ A નું સમીકરણ અને તટસ્થ સ્થળ
ICC ના આયોજન મુજબ, ભારતને 'ગ્રુપ A' માં સ્થાન આપવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત અમેરિકા (USA), નામિબિયા અને નેધરલેન્ડ જેવી ટીમોનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ તટસ્થ સ્થળ (Neutral Venue) તરીકે કોલંબોમાં રમાડવાનો નિર્ણય લેવાયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા BCCI અને PCB વચ્ચે થયેલી સમજૂતી મુજબ આયોજન તટસ્થ સ્થળે કરવામાં આવી રહ્યું હોવાનું મનાય છે.
"હવે કોઈ દુશ્મનાવટ રહી નથી": સૂર્યાનું જૂનું નિવેદન
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં એશિયા કપ દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવે બંને દેશો વચ્ચેની પ્રતિસ્પર્ધા અંગે એક રસપ્રદ અને આત્મવિશ્વાસથી ભરેલું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત સતત પાકિસ્તાનને હરાવતું આવ્યું છે, તેથી હવે તેને 'કાંટાની ટક્કર' કે 'હરીફાઈ' કહેવી યોગ્ય નથી. સૂર્યાના મતે, બે ટીમો વચ્ચે સાચી હરીફાઈ ત્યારે જ કહેવાય જ્યારે 12 મેચોમાં જીત-હારનો રેકોર્ડ 6-6 અથવા 7-5 જેવો બરાબરીનો હોય. જોકે, વર્લ્ડ કપના મંચ પર આ મેચનું મહત્વ અને દબાણ હંમેશા અલગ જ હોય છે.