T20 World Cup: ભારતીય ક્રિકેટ ટીમે 17 વર્ષની રાહનો અંત લાવ્યો છે. શનિવારે ખૂબ જ રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. માત્ર સાત મહિના પહેલા, (નવેમ્બર 19, 2023) જ્યારે 50-ઓવરના ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે લાખો ભારતીય ચાહકોનું દિલ તૂટી ગયું હતું. હવે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં આ જીત બાદ દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.


આખા દેશમાં ટી-20 વર્લ્ડકપના જીતની ઉજવણી જોવા મળી હતી. જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ મેદાન પર જશ્ન મનાવ્યો હતો, ત્યારે ભારતમાં લોકોએ ફટાકડા ફોડીને અને રસ્તાઓ પર ત્રિરંગો લહેરાવીને ઉજવણી કરી હતી. હવે દરેક ટીમ ઈન્ડિયાના ઘરે પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે, જ્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.


બુધવાર સુધીમાં ભારત પહોંચે તેવી શક્યતા છે


ટીમ ઈન્ડિયા આજે બાર્બાડોસમાં છે કારણ કે 30 જૂનને વર્લ્ડ કપ માટે રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો હતો. આવતીકાલે એટલે કે સોમવારે ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી સવારે 11 વાગ્યે ન્યૂયોર્ક માટે રવાના થશે. ત્યારબાદ મંગળવારે ટીમ ન્યૂયોર્કથી અમીરાતની ફ્લાઈટ લઈને દુબઈ પહોંચશે અને ત્યાંથી ભારત પરત ફરશે અને બુધવાર સુધીમાં ટીમ ભારત પહોંચે તેવી શક્યતા છે.


દુબઈથી ખેલાડીઓ મુંબઈ આવશે કે દિલ્હી પહોંચશે તે હજુ નક્કી નથી. તેની સંપૂર્ણ વિગતો આજે આવે તેવી શક્યતા છે. આ પછી ટીમ ઈન્ડિયાનું વિજય સરઘસ નીકળશે, તેનું શિડ્યૂલ હજુ આવ્યું નથી.


 માત્ર આ ટીમોએ 4 કે તેથી વધુ વર્લ્ડ કપ જીત્યા છે


નોંધનીય છે કે ભારતીય ટીમ ચાર વર્લ્ડ કપ જીતનારી ત્રીજી ક્રિકેટ ટીમ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ માત્ર ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝના નામે હતો. ઓસ્ટ્રેલિયાએ 7 વખત વર્લ્ડ કપ જીત્યો છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ 4 વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. આ ત્રણ ટીમો સિવાય અન્ય કોઈ આ ટાઈટલ જીતી શક્યું નથી. જો કે ઘણી એવી ટીમો છે જે ઘણી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ત્યાં હારનો સામનો કરવો પડ્યો હતો.