નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન મનીષ પાંડે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. 30 વર્ષીય બેટ્સમેને સોમવારે સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ આશ્રિતા શેટ્ટી સાથે મુંબઈમાં લગ્ન કર્યા હતા. રવિવારે રાતે સુરતમાં મનીષ પાંડેની કેપ્ટનશિપમાં કર્ણાટકે રોમાંચક ફાઇનલમાં તમિલનાડુને 1 રનથી હરાવીને સૈયદ મુશ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. મેચમાં મનીષ પાંડેએ 45 બોલમાં 60 રનની ઈનિંગ રમી હતી.


સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીત્યા બાદ તે સીધો જ મુંબઈ રવાના થઈ ગયો હતો. આવતીકાલે રિસેપ્શન યોજાશે. જેમાં અનેક ક્રિકેટરો સામેલ થવાની શક્યતા છે. લગ્ન સમારંભ પત્યા બાદ બીજા જ દિવસે તેણે ટીમ ઈન્ડિયા સાથે જોડાવું પડશે. કેમકે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટી-20 શ્રેણીની પ્રથમ મેચ 6 ડિસેમ્બરે હૈદરાબાદમાં રમાશે. વર્તમાન સીરિઝને ધ્યાનમાં રાખીને મનીષ પાંડે હનીમૂન પર પણ નહીં જઈ શકે.



મનીષ પાંડેએ લગ્ન દરમિયાન ક્રિમ કલરની શેરવાની પહેરી હતી. જ્યારે આશ્રિતા શેટ્ટી લાલ રંગની સિલ્ક સાડીમાં નજરે પડી હતી. આશ્રિતે સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં તમિલ ફિલ્મો- ઓરુ કન્નિયુમ, ઉડ્ડયમ,એનએચ 4 જેવી ફિલ્મો પણ સામેલ છે.