Hardik Pandya Fitness Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ બુધવારથી શરૂ થઈ રહેલી સ્થાનિક ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી 2021-22માં રમવાનો ઇનકાર કરી દીધો છે. આ વખતે બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) એ પંડ્યાને આ ટ્રોફીમાં ભાગ લેવા માટે એક ઈમેલ મોકલ્યો હતો, જેના જવાબમાં પંડ્યાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તે પસંદગી માટે ઉપલબ્ધ નથી. જ્યારે હાર્દિકનો ભાઈ કૃણાલ પંડ્યા બરોડા ક્રિકેટ ટીમના કેમ્પમાં જોડાઈ ગયો છે અને તે આ ટુર્નામેન્ટમાં ભાગ લેતો જોવા મળશે. ચાલો જાણીએ કે શા માટે પંડ્યાએ આ ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.


ફિટનેસ માટેનું કારણ


હાર્દિક પંડ્યાએ બરોડા ક્રિકેટ એસોસિએશનને કહ્યું કે તે આ દિવસોમાં મુંબઈમાં રિહેબ કરી રહ્યો છે. નોંધનીય છે કે હાર્દિક પંડ્યા ફિટનેસના કારણે લાંબા સમયથી બોલિંગ કરી શક્યો નથી. ફિટનેસના કારણે તેણે IPL 2021માં બોલિંગ કરી ન હતી. T20 વર્લ્ડ કપની માત્ર થોડી જ મેચોમાં તે બોલિંગ કરવા આવ્યો હતો અને પ્રભાવિત કરી શક્યો નહોતો. આ કારણે ટીમ ઈન્ડિયામાં તેની જગ્યા પણ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. હાર્દિક આ દિવસોમાં બોલિંગની લયમાં પાછા આવવા માટે સખત મહેનત કરી રહ્યો છે, જેથી ભારતીય ટીમમાં વાપસી થઈ શકે.


તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ રમાયેલી 3 મેચોની ટી-20 સિરીઝમાં હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી ન હતી. ટી-20 વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યાએ જે રીતે ખરાબ પ્રદર્શન કર્યું હતું, તે પછી તેને ટી-20 ટીમમાંથી રજા આપી દેવામાં આવી હતી. આ પછી એક મોટો ઝટકો લાગ્યો જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યાને આઈપીએલમાં રિટેન કર્યા નહીં.


જાણો વિજય હજારે ટ્રોફીનું શેડ્યૂલ


વિજય હજારે ટ્રોફી 8 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં 6 અલગ-અલગ ગ્રુપમાં 38 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટની મેચો દેશના સાત શહેરોમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં ઘણા સિનિયર ખેલાડીઓ પણ રમતા જોઈ શકાય છે. આ ઉપરાંત, તે સ્થાનિક ખેલાડીઓ માટે તેમની પ્રતિભા દર્શાવવા અને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન બનાવવા માટે પણ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.