નવી દિલ્હીઃ ભારતીય ટીમે ઇતિહાસ રચતા પાંચમી વાર અંડર-19 વર્લ્ડકપનો ખિતાબ જીતી લીધો છે. ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને ચાર વિકેટથી માત આપી છે. ભારતીય ટીમે આખી ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મ બતાવ્યુ. તેની ઘાતક બૉલિંગ અને બેટિંગની આગળ ફરી એકવાર દુનિયાની ટીમો ઝૂકી ગઇ. 


ફાઇનલમાં ઈંગ્લેન્ડને 4 વિકેટથી આપી હાર-
U19 World Cup 2022 Final, IND vs ENG: ટીમ ઈન્ડિયાએ 5મી વખત અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો છે. ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. ભારત તરફથી નિશાંત સંધુએ અણનમ અડધી સદી ફટકારી હતી. તેની અડધી સદીના મદદથી ભારતે ફાઇનલ મેચ જીતી લીધી હતી. નિશાંતની સાથે શેખ રાશિદે પણ અડધી સદી ફટકારી હતી. જ્યારે રાજ બાવાએ ખતરનાક બોલિંગ કરતા 5 વિકેટ ઝડપી હતી. આ પહેલા ભારતે વર્ષ 2000, 2008, 2012 અને 2018માં પ અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.


ધોનીના અંદાજમાં મળી જીત-
ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં ફરી એકવાર પોતાનુ ઝનૂન બતાવ્યુ છે. ટૂર્નામેન્ટમાં એક પછી એક સળંગ વિજય મેળવીને ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી અને અંતે ફાઇનલમાં ઇંગ્લિશ ટીમને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. ભારત આ સાથે જ પાંચમી વાર અંડર-19 વર્લ્ડકપનુ ચેમ્પીયન બન્યુ હતુ. મેચમાં નિશાંત સિન્ધૂ, શેખ રશીદ અને રાજ બાવાની ઇનિંગોથી ભારતે આ મુકામ હાંસલ કર્યો પરંતુ આ મેચમાં એક ઘટનાએ બધાનુ ધ્યાન ખેંચ્યુ અને તે છે વિનિંગ સિક્સર.


મેચ દરમિયાન ભારતની અંડર-19 વર્લ્ડકપ ટીમના વિકેટકીપર બેટ્સમેન દિનેશ બાના આકર્ષણનુ કેન્દ્ર બન્યો, તેને અગિયાર વર્ષ પહેલા ધોનીના છગ્ગાની યાદ અપાવી દીધી. અગિયાર વર્ષ પહેલા મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી વનડે વર્લ્ડકપની ફાઇનલમાં સિક્સર ફટકારીને જીત અપાવી હતી, બસ, ઠીક આ જ રીતે દિનેશ બાનાએ અંડર-19 વર્લ્ડકપ 2022ની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે છગ્ગા ફટકારનીને ભારતને ખિતાબી જીત અપાવી. 




આઠમા નંબર પર બેટિંગમાં આવેલા વિકેટકીપર બેટ્સમેન દિનેશ બાનાએ 5 બૉલમાં 13 રન બનાવ્યા, જેમાં બે વિનિંગ સિક્સર સાથે બે છગ્ગા સામેલ હતા. 17 વર્ષીય દિનેશ બાના ભારતીય અંડર-19 વર્લ્ડકપ ટીમનો વિકેટકીપર છે, અને હરિયાણાના હિસારમાંથી આવે છે. 






બીસીસીઆઇ કરશે પૈસાનો વરસાદ-
વેસ્ટ ઇન્ડિઝમાં ઇંગ્લેન્ડને હરાવીને રેકોર્ડ પાંચમી વાર અંડર-19 વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમના દરેક સભ્ય માટે બીસીસીઆઇએ 40 લાખ રૂપિયા અને સહયોગી સ્ટાફને 25 લાખ રૂપિયાનુ પુરસ્કાર આપવાના જાહેરાત કરી છે. બોર્ડ સચિવ જય શાહે ફાઇનલમાં ભારતની ચાર વિકેટથી જીત બાદ તરત જ ટ્વીટ કર્યુ- અંડર 19 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ જીતનારી અંડર 19 ટીમના સભ્યોને બીસીસીઆઇ 40-40 લાખ રૂપિયાનુ રોકડ પુરસ્કાર અને સહયોગી સ્ટાફને 25- 25 લાખ રૂપિયા આપશે. તમે અમને ગૌરવાન્તિત કર્યા છે.