નવી દિલ્હીઃ ચેન્નાઇ સુપર કિંગ્સના બેટ્સમેન કેદાર જાધવને બુધવારે કેકેઆર સામે રમાયેલી મેચ બાદ લોકોના વિરોધનો શિકાર થવુ પડ્યુ છે. હાઇ પ્રેશર વાળી સ્થિતિમાં તેને માત્ર 12 બૉલમાં 7 રનની ઇનિંગ રમી હતી, જે પછી તેને એક વિચિત્ર અને ખરાબ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કેદાર જાદવે એક પણ છગ્ગો ફટકાર્યા વિના ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020માં સૌથી વધુ 59 બૉલનો સામનો કર્યો છે. તેને આ સિઝનમાં સીએસકેની તમામ છ મેચો રમી છે, પરંતુ એકપણ સિક્સર ફટકારી શક્યો નથી. આ મામલે જાધવે સૌથી ખરાબ રેકોર્ડ બનાવ્યો છે.


આ લિસ્ટમાં જાધવ બાદ કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેન ગ્લેન મેક્સવેલનુ નામ છે. વિસ્ફોટક ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરે 56 બૉલનો સામનો કર્યો છે, પરંતુ હજુ સુધી એકપણ સિક્સ લગાવી શક્યો નથી. સનરાઇઝર્સ હૈદરાબાદના કેન વિલિયમસને પણ એકપણ સિક્સ લગાવ્યા વિના 54 બૉલ રમ્યા છે. જ્યારે કૉલકત્તા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે 48 બૉલ રમ્યા છે પરંતુ એકપણ છગ્ગો ફટકાર્યો નથી.

સહેવાગે પણ જાધવ પર કર્યો હતો કટાક્ષ
ટીમ ઇન્ડિયા પૂર્વ વિસ્ફોટક ઓપનર સહેવાગે પણ કેદાર જાધવની બેટિંગની નિંદા કરી હતી. તેને કહ્યું હતુ કે,- કેટલાક ખેલાડી ફ્રેન્ચાઇઝીને સરકાર નોકરી સમજી બેઠા છે. સહેવાગે કહ્યું- આ લક્ષ્યનો પીછો કરવા જોઇતો હતો, પરંતુ કેદાર જાધવ અને રવિન્દ્ર જાડેજા દ્વારા રમવામા આવેલા ડૉટ બૉલે મદદ ના કરી. મારા મતે ચેન્નાઇના કેટલાક બેટ્સમેન સીએસકેને સરકારી નોકરી સમજે છે, ભલે તમે પ્રદર્શન કરો કે ના કરો, તેમને ખબર છે કે તેમનો પગાર નથી કપાવવનો. ચેન્નાઇએ આઇપીએલ હરાજીમાં કેદાર જાધવને 7 કરોડથી વધુની રકમમાં ખરીદ્યો છે.

સહેવાગે પોતાની ફેસબુક સીરીઝ વીરુ કી બેઠકમાં કહ્યું મેન ઓફ ધ મેચનો અસલી હકદાર કેદાર જાધવ છે. સહેવાગે કહ્યું કે કેદાર જાધવ રન કરવાના તો દુર, તે દોડવા પણ ન હતો માંગતો.