Virendra Sehwag On Suryakumar Yadav:  જ્યારે છેલ્લી વખત ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે હતા, તે શ્રેણી ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ માટે નિરાશાજનક રહી હતી. વાસ્તવમાં, તે શ્રેણીની 3 મેચોમાં, સૂર્યકુમાર યાદવ સતત ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો હતો. પરંતુ શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે સૂર્યકુમાર યાદવે 49 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત, તેણે કેએલ રાહુલ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને ટીમને જીત સુધી પહોંચાડી.


શું કહ્યું વીરેન્દ્ર સેહવાગે...


જોકે, પૂર્વ ભારતીય ખેલાડી વીરેન્દ્ર સેહવાગે સૂર્યકુમાર યાદવની ઈનિંગ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે જ્યારે તમે ક્રિઝ પર હોવ છો, ત્યારે તમે તમારા સો ટકા આપો છો, ક્યારેક તમને સફળતા મળે છે, જ્યારે ક્યારેક તમે નિષ્ફળ જાઓ છો. પરંતુ તમે તમારી નબળાઈઓ પર કામ કરો છો. તેણે એમ પણ કહ્યું કે બેટ્સમેન તરીકે તમારી માનસિકતા સૌથી મહત્વપૂર્ણ છે. જો કે, તમારી કુશળતા પણ મહત્વપૂર્ણ છે.


જો તમે સતત 3 વખત શૂન્ય પર આઉટ થાવ છો તો તમે...


વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે જો એક બેટ્સમેન તરીકે તમે સતત ત્રણ વખત શૂન્ય પર આઉટ થાવ છો તો તમારે તમારી કુશળતા પર કામ કરવાની જરૂર છે. આ પછી, જ્યારે તમે રન બનાવો છો, ત્યારે તમારી માનસિકતા બદલાવા લાગે છે. ભૂતપૂર્વ ભારતીય ઓપનરે કહ્યું કે માનસિકતા સૌથી મહત્વપૂર્ણ છે.  તેણે કહ્યું કે જો તમે સતત એક જ શોટ રમીને પેવેલિયન પરત ફરી રહ્યા છો તો તમારા મનમાં સવાલો આવવા લાગે છે કે શું આ શોટ સાચો હતો. જ્યારે આ મેચની વાત કરીએ તો ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે. આ શ્રેણીની બીજી મેચ રવિવારે ઈન્દોરમાં રમાશે.



ગિલ અને ગાયકવાડે 142 રનની ભાગીદારી કરી હતી


ઓસ્ટ્રેલિયાએ આપેલા 277 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાને શુભમન ગિલ અને રુતુરાજ ગાયકવાડે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 142 રનની ભાગીદારી કરી હતી. ગીલે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયન બોલરોને ધોઈ નાખ્યા હતા. ગિલે માત્ર 63 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ઝડપી 74 રન બનાવ્યા હતા. તેણે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જ્યારે ગાયકવાડે 10 ચોગ્ગાની મદદથી 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી.


ભારતે 9 રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી


શાનદાર શરૂઆત બાદ ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર થોડો ડગમગાયો હતો. 142 રનમાં પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ માત્ર 9 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતે બીજી વિકેટ 148 અને ત્રીજી વિકેટ 151 રન પર ગુમાવી હતી. ગાયકવાડ અને ગિલ બાદ શ્રેયસ અય્યર માત્ર ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કેપ્ટન કેએલ રાહુલ અને ઈશાન કિશને કેટલાક આક્રમક શોટ રમ્યા, પરંતુ ઈશાન વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યો નહીં. તે 26 બોલમાં બે ચોગ્ગાની મદદથી 18 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાનને પેટ કમિન્સે વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો હતો.


સૂર્યકુમાર અને કેએલ રાહુલે શાનદાર ફિફ્ટી ફટકારી


ચોથી વિકેટ 185 રન પર પડ્યા બાદ સૂર્યકુમાર યાદવે કેપ્ટન કેએલ રાહુલ સાથે મળીને પાંચમી વિકેટ માટે 80 રનની ભાગીદારી કરી હતી. સૂર્ય કુમારે 49 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન બનાવ્યા હતા. જોકે, ભારતની જીત પહેલા સૂર્યા સિક્સર મારવાના પ્રયાસમાં આઉટ થઈ ગયો હતો. પરંતુ કેપ્ટન કેએલ રાહુલ એક છેડે ઉભો રહ્યો અને આખરે ટીમને જીત તરફ દોરી ગયો. રાહુલે 63 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 58 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેની સાથે જાડેજા ત્રણ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.