કટકઃ ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમી ચૂકેલા ઓલ રાઉન્ડર કૃણાલ પંડ્યાએ વધુ એક વિવાદ પેદા કરી દીધો છે. વડોદરા વતી રમી રહેલા ઓલ-રાઉન્ડર કૃણાલ પંડ્યા કટક ખાતે રમાઈ રહેલી રણજી ટ્રોફી સ્પર્ધાની બાકીની મેચો છોડી અધવચ્ચે છોડી દીધી છે. ઓલ-રાઉન્ડર કૃણાલ પંડ્યા ટીમ મેનેજરને જાણ કરી જતો રહેતાં બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)એ કૃણાલ પંડ્યા સામે શિસ્તભંગનાં પગલાં લેવાની તૈયારી શરૂ કરી છે. 


બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)નાં સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળ સામેની રણજી મેચ રવિવારે પૂરી થઇ હતી અને આ મેચમાં વડોદરા ટીમનો પરાજય થયો હતો. આ મેચ પૂરી થયા બાદ બરોડા ટીમના મેનેજરને કૃણાલ પંડ્યાએ કહ્યું હતું કે, હવે બાકીની 2 મેચો માટે હું ઉપલબ્ધ નથી. ટીમ મેનેજરે બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના સત્તાધીશોને આ અંગેની જાણ ઇ-મેલ દ્વારા કરી હતી. આ મેચમાં કૃણાલ પંડ્યાને બીજી ઈનિંગ્સમાં માત્ર એક જ ઓવર નાખવા મળી હતી. તેના કારણ તે નારાજ થઈ ગયો હોવાનું મનાય છે. પંડ્યા સામે શિસ્તભંગના પગલાં લેવાઈ શકે છે.


બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે, બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ને ટીમ મેનેજરનો ઇ-મેલ મળ્યો છે કે કૃણાલ પંડ્યા બંગાળ સામેની મેચ પછી પોતે હવે બે મેચ માટે ઉપલબ્ધ નથી એવું કહીને જતો રહ્યો છે.  કૃણાલે બંને મેચો માટે કેમ ઉપલબ્ધ નથી તેનું કારણ જણાવ્યું નથી. બીસીએના એક ટોચના હોદ્દેદારે જણાવ્યું હતું કે, આ શિસ્તભંગ છે અને આવા કિસ્સામાં પગલાં જરૂરી છે. તેણે 2 મેચ રમવી નહોતી તો પહેલેથી કહેવું જોઈતું હતું. પંડ્યાની મનમાનીના કારણે બીસીએની હાલત બગડી ગઈ છે. બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) અત્યારે  કોઈ ખેલાડીને મોકલે તો તેણે ફરજિયાત 5 દિવસ ક્વોરન્ટાઈન રહેવું પડે. આ સંજોગોમાં તેને મોકલવાથી પણ રમાડી ના શકાય.