IND VS SA:કોટકે કહ્યું, "તે ચોક્કસપણે રિકવરી કરી રહ્યો છે. હું ગઈકાલે તેને મળ્યો હતો. ફિઝિયો અને ડોકટરોએ નક્કી કરવું પડશે કે, જો તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય, તો પણ મેચ દરમિયાન ફરી પેઇન થવાની શક્યતા છે કે નહીં. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ શંકા હોય, તો મને ખાતરી છે કે તે બીજી રમત માટે આરામ કરશે. શુભમનને ખેલાડી અને કેપ્ટન તરીકે ખોટ સાલશે."
તેમણે ઉમેર્યું, "ભારતીય ટીમમાં ઊંડાણ છે. જો ગિલ બીજી ટેસ્ટમાં નહીં રમે, તો તેની જગ્યાએ લેવા માટે અમારી પાસે સારા ખેલાડીઓ છે. કદાચ ગિલની જગ્યાએ આવનારો ખેલાડી ગુવાહાટીમાં સદી ફટકારશે."
બેટિંગ કોચે સંકેત આપ્યો હતો કે, જો ગિલ બીજી ટેસ્ટમાં નહીં રમે, તો ધ્રુવ જુરેલ તેની જગ્યાએ ચોથા નંબરે બેટિંગ કરી શકે છે.
શુભમન ગિલને કોલકાતા ટેસ્ટની પહેલી ઇનિંગમાં બેટિંગ કરતી વખતે ગરદનમાં ખેંચાણનો સામનો કરવો પડ્યો હતો. તેમણે રિટાયર્ડ હર્ટ થઈને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
ગુવાહાટીમાં રમાનારી ટેસ્ટ ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ છે. કોલકાતા ટેસ્ટ ઓછા સ્કોરવાળી હતી. ભારતીય ટીમ 124 રનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહી અને બીજી ઇનિંગમાં 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. દક્ષિણ આફ્રિકાએ 15 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ જીતી. જો ભારતીય ટીમ આગામી ટેસ્ટ જીતવામાં નિષ્ફળ જાય, તો તે 25વર્ષ પછી દક્ષિણ આફ્રિકા સામે ઘરેલુ ટેસ્ટ શ્રેણી ગુમાવશે. જોકે, ભારતીય ટીમ પાસે બીજી ટેસ્ટ જીતીને શ્રેણી ડ્રો કરવાની ક્ષમતા છે.