vaibhav suryavanshi cricket fight: સોમવારે દામ્બુલામાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીની મેચમાં ભારત A અને શ્રીલંકા A વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળ્યો હતો. મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી, જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, આ મેચની ચર્ચા હાર-જીત કરતા મેદાન પર થયેલા એક મોટા ઝઘડાને કારણે વધુ થઈ રહી છે. હાર બાદ ભારતના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના ખેલાડીઓ વચ્ચે ભારે બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી. વૈભવ અચાનક આટલો બધો ગુસ્સામાં કેમ આવી ગયો અને આ હાઈ-વોલ્ટેજ ડ્રામા પાછળનું સાચું કારણ શું હતું, તે અંગે ચાલો વિગતવાર જાણીએ.
આ બે લાઈનોથી ભડક્યો વૈભવનો ગુસ્સો
ગત 15 જૂનના રોજ રમાયેલી આ રોમાંચક મેચમાં સુપર ઓવર સુધી વાત પહોંચી હતી. સુપર ઓવરમાં શ્રીલંકા A ટીમે પહેલા બેટિંગ કરતા 17 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 18 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ ચેઝ કરવા માટે ભારત તરફથી સૂર્યાંશ શેડગે અને વૈભવ સૂર્યવંશી મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ તેઓ નિરાશાજનક પ્રદર્શન કરતા માત્ર 9 રન જ બનાવી શક્યા હતા.
મેચ પૂરી થયા બાદ અને શ્રીલંકાની જીત બાદ, શ્રીલંકન ખેલાડી વિશેન હલંબગેએ વૈભવને ઉશ્કેરવા માટે સ્લેજિંગ (છીછરી કોમેન્ટ) કર્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, વિશેને વૈભવને ટોણો મારતા કહ્યું હતું કે, "મેચ પૂરી થઈ ગઈ છે... હવે તમારે ઘરે જવું જોઈએ."
મેદાન પર જ થઈ ધક્કામુક્કી
શ્રીલંકન ખેલાડીની આ કમેન્ટ સાંભળતા જ વૈભવનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. પેવેલિયન તરફ પાછા ફરી રહેલા વૈભવથી આ સહન ન થયું, તે ગુસ્સામાં પાછો ફર્યો અને એકલા હાથે જ આખી શ્રીલંકન ટીમ સામે બાથ ભીડી લીધી. આ દરમિયાન ખેલાડીઓ વચ્ચે ઉગ્ર દલીલો અને ધક્કામુક્કી પણ જોવા મળી હતી. મામલો એટલો ગરમાયો કે શ્રીલંકાના અન્ય કેટલાક ખેલાડીઓએ વચ્ચે પડીને વૈભવ અને પોતાની ટીમના ખેલાડીઓને છૂટા પાડી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવો પડ્યો હતો. મેદાન પર બનેલી આ ઘટના બાદ હવે ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે.
આ પણ વાંચોઃ ભારત A માટે હવે 'કરો યા મરો': સતત બે હાર બાદ કેવી રીતે પહોંચશે ફાઇનલમાં?
આ સિરીઝમાં કેવું રહ્યું છે વૈભવનું પ્રદર્શન?
જો ત્રિકોણીય શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો તે પોતાના બેટથી કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી:
પહેલી મેચ (શ્રીલંકા સામે): વૈભવ માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
બીજી મેચ (અફઘાનિસ્તાન A સામે): આ મેચમાં તેણે 44 રનની સારી ઇનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ફિફ્ટી ચૂકી ગયો હતો.
ત્રીજી મેચ (શ્રીલંકા A સામે): આ મેચમાં તે ફરીથી ફ્લોપ રહ્યો અને માત્ર 21 રન જ બનાવી શક્યો.
હવે ક્રિકેટ પ્રેમીઓ એ જોવાની રાહ જોઈ રહ્યા છે કે આ ઝઘડા બાદ વૈભવ આવનારી મેચોમાં પોતાના બેટથી જવાબ આપે છે કે નહીં અને સિરીઝની તેની પહેલી ફિફ્ટી ક્યારે ફટકારે છે.
આ પણ વાંચોઃ IND A vs SL A: સુપર ઓવરમાં હાર બાદ મેદાન પર ભયંકર બબાલ, આખી ટીમ સામે એકલો લડ્યો વૈભવ! જુઓ વીડિયો
