IPL 2027: IPL 2026 ને સમાપ્ત થયાને હજુ માંડ અડધો મહિનો જ વીત્યો છે ત્યાં આગામી સીઝનને લઈને કેટલાક મોટા અપડેટ્સ સામે આવ્યા છે. આગામી એટલે કે 2027 ના આઈપીએલ (IPL 2027) ના શિડ્યુલમાં ફેરફાર કરવા અંગે ચર્ચા કરવામાં આવી છે. આ સિવાય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ દેવજીત સાઇકિયા (Devajit Saikia) એ મેચોની સંખ્યામાં વધારો થવા અંગે પણ વાત કરી છે.
એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી કે આગામી આઈપીએલથી 74 ના બદલે 94 મેચ રમાશે, એટલે કે કુલ 20 મેચોનો વધારો થશે. તો ચાલો જાણીએ કે આ વિષય પર દેવજીત સાઇકિયાએ શું કહ્યું.
શું IPL 2027 માં 74 ના બદલે 94 મેચ રમાશે?
દેવજીત સાઇકિયાએ ન્યૂઝ એજન્સી PTI સાથે વાતચીત કરતા સ્પષ્ટ કરી દીધું છે કે મેચોની સંખ્યામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. પહેલાની જેમ જ 74 મેચ રમાડવામાં આવશે. મેચોની સંખ્યા ન વધારવા પાછળનું સૌથી મોટું કારણ વિદેશી ખેલાડીઓનું વ્યસ્ત શિડ્યુલ રહ્યું છે. સાઇકિયાએ જણાવ્યું કે વિદેશી ખેલાડીઓએ દ્વિપક્ષીય સિરીઝ રમવાની હોય છે.
આગામી સીઝનના શિડ્યુલમાં થશે મોટો ફેરફાર
BCCI સચિવે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આગામી સીઝનમાં ટૂર્નામેન્ટની શરૂઆત આશરે 2 અઠવાડિયા વહેલી થઈ શકે છે. આ વર્ષે એટલે કે 2026 નું આઈપીએલ 28 માર્ચથી 31 મે વચ્ચે રમાઈ હતી. ભારે ગરમી અને પ્રી-મોન્સૂન સીઝનને ધ્યાનમાં રાખીને આગામી સીઝન વહેલી શરૂ કરવા પર વિચારણા કરવામાં આવી રહી છે.
દેવજીત સાઇકિયાએ આગામી સીઝનના શિડ્યુલ વિશે વાત કરતા કહ્યું, "આ વર્ષે આઈપીએલની શરૂઆત 28 માર્ચથી થઈ હતી અને ફાઇનલ મેચ 31 મેના રોજ રમાઈ હતી. માત્ર એક જ વિષય એવો છે જેના પર અમે ચર્ચા કરી છે કે ટૂર્નામેન્ટના અંતિમ તબક્કામાં, ખાસ કરીને 15 મે પછી વરસાદ અને પ્રી-મોન્સૂન સીઝન આવવાની શક્યતા રહે છે. આ સિવાય વધુ પડતી ગરમી પણ એક મોટું પરિબળ છે, જે ખેલાડીઓ અને દર્શકો માટે અનુકૂળ નથી હોતું."
હવે એ જોવું રસપ્રદ રહેશે કે આગામી સીઝનમાં ટૂર્નામેન્ટની શરૂઆત ક્યારથી થાય છે. શિડ્યુલમાં ફેરફાર કરવા માટે બોર્ડે કેટલાક અન્ય આયોજનોમાં પણ ફેરફાર કરવા પડશે.
