WTC Final: આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલનો આજે પાંચમો દિવસ છે, અને ભારતની હાર લગભગ નક્કી જેવી જ લાગી રહી છે, કેમકે કાંગારુ ટીમ તરફથી મળેલા 444 રનના લક્ષ્યાંકને પાંચમા દિવસે ચેઝ કરવો કોઇપણ ટીમ માટે આસાન નથી, પાંચમા દિવસે આજે ભારતીય ટીમને જીતવા માટે અંતિમ દિવસે 280 રનની જરૂર છે અને 7 વિકેટો હાથમાં છે. આવામાં ચેઝ માસ્ટર વિરાટ કોહલીએ પોતાના સ્માર્ટફોનમાં ખાસ સ્ટેટસ મુકીને બધાને ચોંકાવ્યા છે. વિરાટે પોતાના આ સ્ટેટસથી પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. જાણો શું લખ્યુ છે સ્ટેટસમાં....


વિરાટ કોહલીએ પોતાના સ્ટેટસમાં વિયેતનામના બૌદ્ધ સાધુ થિચ નટ હાન્હની વાત શેર કરી હતી. કોહલીએ આમાં લખ્યું, “જો આપણને ઘણી બધી ચિંતાઓ, ડર અને શંકા હોય તો આપણી પાસે રહેવા અને પ્રેમ કરવા માટે કોઈ સ્થાન નથી. આપણે વસ્તુઓ છોડી દેવાની પ્રેક્ટિસ કરવાની જરૂર છે." કોહલીએ કયા કારણોસર આ પૉસ્ટ શેર કરી છે, આના વિશે તમામ લોકો વિચારી રહ્યાં છે. આ પૉસ્ટ થકી કોહલીના પોતાના ઇરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે કે તે છેલ્લા દિવસે કઈ વિચારસરણી સાથે રમશે અને જો કોહલી આમાં સફળ થશે તો ટેસ્ટ ક્રિકેટનો ઇતિહાસ પણ બદલાઇ શકે છે. 




ઓવલ ખાતેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ રનનો પીછો 263 રનોનો રહ્યો છે. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે આ પરાક્રમ કર્યું હતું. પરંતુ આ કમાલનો રન ચેઝ 121 વર્ષ પહેલા થયો હતો, એટલે કે તે પછી અહીં ક્યારેય 263 રન કે તેથી વધુ રનનો ટાર્ગેટ પીછો કરી શકાયો નથી. મતલબ કે ભારતે જીતવું હશે તો ઈતિહાસ બદલવાનું કામ કરવું પડશે.


ખાસ વાત છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચમાં આજે ભારતીય ટીમ માટે સારી વાત એ છે કે, પાંચમા દિવસે મેદાન પર વિરાટ કોહલી છે. કોહલી હજુ પણ ક્રિઝ પર છે. તે ચોથા દિવસે 44 રને અણનમ રહ્યો હતો. ચોથા દિવસે તેની અને અજિંક્ય રહાણે વચ્ચે 71 રનની ભાગીદારી થઈ છે. કોહલીએ ચોથા દિવસે 44 રનની ઈનિંગમાં 7 ચોગ્ગા ફટકાર્યા હતા. ચોથા દિવસની રમતના અંતે કોહલી અને રહાણેની જોડીએ મેચને રોમાંચક બનાવી દીધી છે, ભારતને જીતવા માટે છેલ્લા દિવસે 280 રનની જરૂર છે.