WTC Points Table: ટીમ ઈન્ડિયાએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરીઝની બીજી મેચ 106 રને જીતી લીધી છે. આ જીત સાથે ભારતે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. આ જીત સાથે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ મોટો ફાયદો થયો છે. હવે ભારતીય ટીમ 52.77 ટકા પૉઇન્ટ સાથે બીજા સ્થાને છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ 55 ટકા પૉઇન્ટ સાથે ટોપ પર છે. જો ભારતીય ટીમ આગામી મેચ જીતે છે તો તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી શકે છે.


જો ભારત ઈંગ્લેન્ડ સામેની આગામી મેચ જીતે છે તો તેના સાત મેચમાંથી 50 પોઈન્ટ થઈ જશે. આ સ્થિતિમાં ભારતની પોઈન્ટ ટકાવારી 59.52 થશે અને તે 55 ટકા પોઈન્ટ મેળવનાર ઓસ્ટ્રેલિયન ટીમને પાછળ છોડી દેશે.


ઈંગ્લેન્ડની વાત કરીએ તો આ હાર સાથે આ ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને યથાવત છે. ઈંગ્લેન્ડની નીચે એકમાત્ર ટીમ શ્રીલંકા છે જેણે અત્યાર સુધી કોઈ મેચ જીતી નથી.


મેચમાં શું થયું ?
વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં વાપસી કરી છે અને સીરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ 28 રને જીતી હતી. જો કે બીજી ટેસ્ટમાં ભારતીય બોલરોએ ઈંગ્લેન્ડના બેઝબોલને પછાડી દીધા હતા. 'બેઝબોલ' એ ઈંગ્લેન્ડની બેટિંગની આક્રમક શૈલીનો ઉલ્લેખ કરે છે. ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.


ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઈંગ્લિશ ટીમનો બીજો દાવ 292 રનમાં સમેટાઈ ગયો હતો. ભારતીય ટીમે યશસ્વી જાયસ્વાલની બેવડી સદીની મદદથી પ્રથમ દાવમાં 396 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 253 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતને પ્રથમ દાવમાં 143 રનની લીડ મળી હતી.


ગિલની સદીના આધારે ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઈનિંગમાં 255 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો. ત્યારબાદ ભારતે ઇંગ્લિશ ટીમને 292 રનમાં આઉટ કરીને મેચ જીતી લીધી હતી. ભારત વતી બેટિંગમાં યશસ્વી અને શુભમન બાદ બોલિંગમાં જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન પણ જોવા મળ્યા હતા. આ બંનેએ ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.