આ ભારતીય દિગ્ગજ ક્રિકેટર ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આવ્યો, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Dec 2020 09:19 AM (IST)
પૂર્વ ક્રિકેટરે કહ્યું, ખેડૂત આપણા દેશની લાઈફલાઈન છે. એવી કોઈપણ સમસ્યા નથી કે જેનો હલ ના હોય. વાતચીતના માધ્યમથી જ સમાધાન નિકળી શકે છે.
ફાઈલ તસવીર
ટીમ ઈન્ડિયાનો પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ આજે 39 વર્ષનો થયો છે. ખેડૂતોના આંદોલનના સમર્થનમાં યુવરાજ સિંહ આ વર્ષે પોતાના જન્મ દિવસની ઉજવણી નહી કરે. જન્મ દિવસના દિવસે પોતાની ઈચ્છા જાહેર કરતા યુવરાજ સિંહે કહ્યું કે તે ઈચ્છે છે કે ખેડૂતોની તમામ માંગ જલ્દીથી પૂર્ણ થાય. આ સાથે જ યુવરાજ સિંહે પોતાના પિતા યોગરાજ સિંહના વિવાદિત નિવેદનને નિરાશાજનક ગણાવ્યું છે. યુવરાજ સિંહે ખેડૂત આંદોલનના સમર્થનમાં મેસેજ લખતા કહ્યું, 'જન્મદિવસ પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટેની તક હોય છે. જન્મદિવસની ઉજવણી કરવાને બદલે હું ઈચ્છુ છુ કે સરકાર ખેડૂતો વચ્ચે ચાલી રહેલી વાતચીતનું પરિણામ લાવે.' યુવરાજ સિંહે ખેડૂતોને દેશની લાઈફલાઈન ગણાવ્યા છે. પૂર્વ ક્રિકેટરે કહ્યું, ખેડૂત આપણા દેશની લાઈફલાઈન છે. એવી કોઈપણ સમસ્યા નથી કે જેનો હલ ના હોય. વાતચીતના માધ્યમથી જ સમાધાન નિકળી શકે છે. યુવરાજ સિંહે જન્મદિવસ પર લોકોને કોરોના વાયરસથી બચવાની સલાહ પણ આપી છે. તેમણે કહ્યું, દરેક લોકોએ હાલ પણ કોરોનાથી સાવધાન રહેવું જોઈએ. કોરોના વાયરસ ખત્મ નથી થયો. યુવરાજ સિંહને એ ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે જેણે ટીમ ઈન્ડિયાને બે વખત વિશ્વ વિજેતા બનાવી. 2019માં નિવૃતિ લીધા પહેલા યુવરાજ સિંહે ટીમ ઈન્ડિયા માટે 40 ટેસ્ટ, 304 વનડે અને 54 ટ્વેન્ટી-ટ્વેન્ટી મુકાબલા રમ્યા છે.