Yuzvendra Chahal : ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે પોતાના અંગત જીવનને લઈને થઈ રહેલી અટકળો પર મૌન તોડ્યું છે. ગુરુવારે સવારથી સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચેના સંબંધોમાં બધુ બરાબર નથી. હવે એક પોસ્ટ શેર કરીને યુઝવેન્દ્ર ચહલે દરેકને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અટકળો પર વિશ્વાસ ન કરે.


શું કહ્યું યુઝવેન્દ્ર ચહલે ? 
ગુરુવારે સાંજે યુઝવેન્દ્ર ચહલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી, જેમાં તેણે ચાહકો માટે એક સંદેશ લખ્યો - “અમારા સંબંધોને લઈને કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરતા સૌને વિનંતી. મહેરબાની કરીને આને તાત્કાલિક બંધ કરો.”  આ સાથે યુઝવેન્દ્ર ચહલે હાથ મિલાવતા ઇમોજી પણ શેર કર્યા હતા.




ચહલ અને ધનશ્રીની પોસ્ટના કારણે શરુ થઈ ચર્ચા
ભારતીય ક્રિકેટર અને સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. થોડા સમય પહેલાં ટ્વીટર પર ચહલ અને ધનશ્રીનું નામ ટ્રેન્ડ થવા લાગ્યું હતું અને એવા સમાચાર આવ્યા હતા કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ પંજાબ હાઈકોર્ટમાં છૂટાછેડા લેવા માટે અરજી કરી છે. 


યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાંથી તેની સરનેમ કાઢી નાખી હતી, ત્યારબાદ યુઝવેન્દ્ર ચહલ દ્વારા એક રહસ્યમય પોસ્ટ કરવામાં આવી હતી. જેના કારણે આ કપલના છૂટાછેડાની અટકળો શરૂ થઈ હતી. ધનશ્રી વર્માએ તેના ઈન્સ્ટાગ્રામ નામમાંથી 'ચહલ' કાઢી નાખ્યું હતું. ધનશ્રીએ ચહલનું નામ હટાવ્યા પછી તરત જ, 16 ઓગસ્ટના રોજ, યુઝવેન્દ્ર ચહલે તેના ઈંસ્ટાગ્રામ પર જઈને એક સ્ટોરી પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, "ન્યુ લાઈફ લોડિંગ...."


ANIએ ટ્વીટર પોસ્ટ અંગે કરી સ્પષ્ટતા
યુઝવેન્દ્ર ચહલની આ પોસ્ટ બાદ ધનશ્રી અને ચહલની મેરેજ લાઈફ અંગે ચર્ચા શરુ થઈ હતી. ત્યાર બાદ ટ્વીટર પર સમાચાર એજન્સી ANIના ફેક એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમં લખવામાં આવ્યું હતું કે, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીએ છૂટાછેડા લેવા માટે પંજાબ હાઈકોર્ટમાં અરજી કરી છે. જો કે, સમાચાર એજન્સી ANIએ આ સમાચાર પોસ્ટ અંગે સ્પષ્ટતા કરી હતી કે, ANI દ્વારા આવા કોઈ સમાચાર પ્રકાશિત કરવામાં નથી આવ્યા.