શિખર ધવન બાદ ભુવનેશ્વર કુમાર જેવા મહત્વના ખેલાડી ઇજાગ્રસ્ત થયા બાદ ટીમ મેનેજમેન્ટ થોડી ચિંતામાં છે. ભુવનેશ્વરના સ્થાને મોહમ્મદ શમીને ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે. મોહમ્મદ શમી વર્લ્ડકપમાં એક પણ મેચ રમ્યો નથી.
ધવન ઇજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો છે. તેના સ્થાને રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાહુલે પાકિસ્તાન વિરુદ્ધ ધવનની ગેરહાજરીમાં ઓપનિંગ કર્યું હતું. જ્યારે વિજય શંકરનો ચોથા ક્રમ માટે સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે પ્રેક્ટિસ સેશન દરમિયાન બુમરાહનો યોર્કર વાગવાના કારણે વિજય શંકર ઇજાગ્રસ્ત થતા તેને ટીમમાં સામેલ કરવા પર શંકા છે. જોકે, સૂત્રોના મતે ઇજા ગંભીર ન હોવાના કારણે વિજય શંકર અફઘાનિસ્તાન સામે રમી શકે છે. કુલદીપ યાદવ અને ચહલનું પ્રદર્શન પણ સારુ રહ્યું છે. જેથી તેમાંથી કોઇ એકને આરામ આપવા માટે ટીમ મેનેજમેન્ટ ત્રીજા વિકલ્પ જાડેજાનો ઉપયોગ કરી શકે છે.