બેટિંગ માટે આવ્યો તે અગાઉ રોહિત શર્માથી નારાજ હતો દિનેશ કાર્તિક, જાણો કેમ
નવી દિલ્હીઃ નિદહાસ ટી-20 સીરિઝની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે અંતિમ બોલ પર સિક્સ ફટકારીને ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવનારા બેટ્સમેન દિનેશ કાર્તિકના સૌ કોઇ વખાણ કરી રહ્યા છે પરંતુ કેપ્ટન રોહિત શર્માએ ખુલાસો કર્યો હતો કે, નીચલા ક્રમમાં બેટિંગ માટે મોકલવાના નિર્ણયથી દિનેશ કાર્તિક નારાજ થયો હતો અને તે છઠ્ઠા ક્રમે બેટિંગ માટે આવવા માંગતો હતો.
રોહિતે કહ્યું કે, આ કારણે હું 13મી ઓવરમાં આઉટ થયો ત્યારે મે દિનેશને છઠ્ઠા ક્રમે બેટિગ માટે મોકલ્યો નહોતો. તેને કારણે તે મારા પર નારાજ થયો હતો. પરંતુ મેચનો સુખદ અંત આવતા તે ખૂબ ખુશ છે. ઉલ્લેખનીય છે કે કાર્તિકની આક્રમક બેટિંગને કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી. કાર્તિકે આઠ બોલમાં 29 રન બનાવ્યા હતા. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
રોહિતે કહ્યું કે, તે દક્ષિણ આફ્રિકાના અંતિમ પ્રવાસમાં અમારી સાથે હતો અને તેને ત્યાં રમવાની બહુ તક મળી નહોતી. આજની રમતથી તેનો આત્મવિશ્વાસ વધશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેને પોતાની જાત પર વિશ્વાસ છે. કોઇ પણ સ્થિતિમાં તે બેટિંગ માટે તૈયાર રહે છે. પછી તે ઉપલા ક્રમે બેટિંગ કરવાની હોય કે પછી નીચલા ક્રમે બેટિંગ કરવાની હોય. અમે ટીમ માટે આ પ્રકારનો ખેલાડી ઇચ્છીએ છીએ.
રોહિતે ખુલાસો કર્યો કે, કાર્તિક ઉપરના ક્રમે બેટિંગ માટે જવા માંગતો હતો પરંતુ તેને નીચલા ક્રમે મોકલતા તે નારાજ થયો હતો. રોહિતે કહ્યું કે, જ્યારે હું આઉટ થયો ત્યારે ડગઆઉટમાં બેઠો હતો. ત્યારે કાર્તિક નારાજ થયો હતો. તેણે કહ્યું કે, તેને છઠ્ઠા ક્રમે બેટિંગ માટે મોકલવવામાં આવે. તેને બદલે વિજય શંકરને મોકલતા તે નારાજ થયો હતો. રોહિતે કહ્યું કે, પરંતુ મે તેને કહ્યું કે, હું ઇચ્છું છું કે તું મેચનો અંત લાવ કારણ કે તારી પ્રતિભા અને અનુભવની અંતિમ ચાર ઓવરમાં જરૂર પડશે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ દિનેશ કાર્તિકના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે, કાર્તિક કોઇ પણ સ્થિતિમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે હંમેશા તૈયાર રહે છે. સાથે તેનો અનુભવ અને આક્રમક બેટિંગ કરી શકવાને કારણે તેને ડેથ ઓવરમાં ભારત માટે આદર્શ ખેલાડી બની જાય છે.