Supreme Court Hearing on FIFA Case: આજે સુપ્રીમ કોર્ટમાં ફિફા કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર (GOI) એ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તે  ભારતીય ફૂટબોલ સંઘ (AIFF)નું ફિકાનું સસ્પેન્શન રદ કરાવવા માટે વાત કરી રહી છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકારે પ્રયાસ કરવો જોઈએ કે ઓક્ટોબરમાં પ્રસ્તાવિત અંડર-17 મહિલા વર્લ્ડ કપનું આયોજન ભારતમાં જ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રની વિનંતી પર સુનાવણી સોમવાર, 22 ઓગસ્ટ પર મુલતવી રાખી છે.




મંગળવારે કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને AIFFના સસ્પેન્શનના મુદ્દા પર તાત્કાલિક સુનાવણી માટે વિનંતી કરી હતી. આજે મહેતાએ જ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, એએસ બોપન્ના અને જેબી પારડીવાલાની બેન્ચને કહ્યું હતું કે સરકારે પોતે હવે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. ગઈકાલે ફિફા સાથે 2 રાઉન્ડની વાત થઈ હતી. AIFFમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિ પણ આમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. મડાગાંઠનો અંત આવશે તેવું લાગી રહ્યું છે.


સોલિસિટર જનરલે કોર્ટને સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખવા વિનંતી કરી હતી. આ વાતને જસ્ટિસે સ્વીકાર કર્યો હતો. કોર્ટે આશા વ્યક્ત કરી હતી કે સરકાર AIFFના સસ્પેન્શનને ખતમ કરી શકશે અને અંડર-17 વર્લ્ડ કપ ભારતમાં યોજાય તે સુનિશ્ચિત કરી શકશે.


NCP નેતા પ્રફુલ પટેલ પર આરોપો


સુનાવણી દરમિયાન કેસના અરજદાર એડવોકેટ રાહુલ મહેરાએ આરોપ લગાવ્યો હતો કે AIFFના અધ્યક્ષ પદ પરથી હટાવાયેલા NCP નેતા પ્રફુલ પટેલે ભારત માટે આ અસ્વસ્થતાભરી સ્થિતિનું નિર્માણ કર્યું છે. તેમણે FIFAમાં પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને AIFFનું સભ્યપદ સસ્પેન્ડ કરાવ્યું છે. એક અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું કે જ્યારે સુપ્રીમ કોર્ટે ક્રિકેટ બોર્ડ (BCCI)માં સુધારાનો આદેશ આપ્યો હતો, ત્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આવી જ રીતે તેને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. આવું જ કંઈક અહીં પણ કરવામાં આવી રહ્યું છે.


ફિફાએ સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપનો આધાર બનાવ્યો છે


લગભગ 14 વર્ષ સુધી AIFFનું સંચાલન પ્રફુલ પટેલની આગેવાની હેઠળની કાર્યકારી સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી ચૂંટણીઓ યોજાઇ નથી. 18 મેના રોજ સુપ્રીમ કોર્ટે પ્રફુલ પટેલની કમિટીને હટાવીને ફેડરેશનનો વહીવટ સંભાળવા માટે 3 સભ્યોની કમિટીની નિમણૂક કરી હતી. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અનિલ દવે, ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશી અને ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન ભાસ્કર ગાંગુલી આ સમિતિના સભ્યો છે.


સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ એક વચગાળાની વ્યવસ્થા છે. AIFFનું નવું બંધારણ તૈયાર થયા બાદ તેની ચૂંટણી યોજાશે. ફૂટબોલ એસોસિએશનની કામગીરી પર કોર્ટના આદેશને ફીફા દ્વારા ફૂટબોલ એસોસિએશનમાં થર્ડ પાર્ટીની દખલગીરી તરીકે ગણવામાં આવી છે. તેના આધારે AIFFની સદસ્યતા સસ્પેન્ડ કરવામાં આવી છે.