નવી દિલ્હીઃ ભારતના પૂર્વ સ્ટાર ખેલાડી સુનીલ ગાવસ્કર સેમી ફાઈનલમાં ધોનીને બેટિંગ ક્રમમાં સાતમાં નંબર પર મોકલવા પર ભડક્યા છે. ગાવસ્કરે કહ્યું છે કે ધોનીને સાતમા નંબરે મોકલવાનો નિર્ણય ખૂબ આશ્ચર્યમાં મૂકનારો છે. ઉલ્લેખનીય છે કે, ભારત ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઇનલમાં 18 રને હારી ગયું હતું.




ગાવસ્કરના જણાવ્યા મુજબ, ધોનીને ચોથી વિકેટ પડ્યા બાદ બેટિંગ માટે આવવું જોઈતું હતું. તેમણે મેચના એક દિવસ બાદ સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જ્યારે 24 રને ચાર વિકેટ પડી ગઈ તો તે સમયે એક જ મિજાજના બે બેટ્સમેનોને તમે ન મોકલી શકો. ગાવસ્કરે કહ્યું કે, આ ટીમ મેનેજમેન્ટની ચૂક હતી.



ગાવસ્કરે કહ્યું કે, પંત અને પંડ્યા બંને આક્રમક બેટ્સમેન છે. અહીં ધોનીને બેટિંગ માટે મોકલવો જોઈતો હતો. તે ક્રીઝ પર આવીને દર બીજા બોલે રિષભ પંત સાથે વાત કરી શકતો હતો. ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય આશ્ચર્યમાં મૂકનારો છે. અહીં સિલેક્શન કમિટીની કોઈ ભૂલ નથી. આ ટીમ મેનેજમેન્ટની ચૂક હતી.



તે સમયે કોમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ ધોની ન આવતાં સવાલ ઉઠાવ્યો હતો. ગાંગુલીએ કહ્યું હતું કે, એમએસ ધોની કેમ નહીં, તે સમજીથી બહાર છે. ઈન્ડિયા જ્યારે દબાણમાં છે ત્યારે પણ બેટિંગ માટે ન આવ્યો. આ વાત માનવામાં નથી આવતી.