મુંબઈઃ ગુંડપ્પા વિશ્વનાથની ગણના ભારતના મહાન બેટ્સમેનોમાં થાય છે. પોતાની કલાત્મક બેટિંગના કારણે જાણીતા આ બેટ્સમેનની ટેકનિકના દરેક લોકો પ્રશંસક હતા, પરંતુ પાકિસ્તાન સામે એક ખરાબ સીરિઝ બાદ આ બેટ્સમેનને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. વિશ્વનાથે કહ્યું કે, કપિલ દેવે તે સમયે મને કહ્યું હતું કે "પસંદગીકર્તા હવે કદાચ તને મોકો નહીં આપે."


વિશ્વનાથે સ્ટાર સ્પોર્ટ્સ કન્નડને જણાવ્યું, મને જ્યારે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો ત્યારે ઘણો નિરાશ હતો. તે સમટે મેં ત્રણ ઈનિંગમાં ખોટા ફેંસલા લીધા હતા. આ રમતનો એક હિસ્સો છે, પરંતુ આ સ્થિતિમાં બે ઈનિંગમાં જો મેં સ્કોર કર્યો હોત તો મને ટીમમાંથી બહાર ન કરત. જ્યારે મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો ત્યારે કપિલને કેપ્ટન નહોતો બનાવાયો પરંતુ બધાને ખબર હતી કે તે કેપ્ટન બનવાનો છે. કપિલ દેવે તે સમયે મને કહ્યું હતું કે પસંદગીકર્તા હવે કદાચ તને મોકો નહીં આપે તેમ લાગે છે.

કાનપુરમાં 1969માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ મેચમાં ફટકારનારા વિશ્વનાથે તેમના કરિયરમાં કુલ 14 સદી મારી છે. 1982-83માં પાકિસ્તાન સામે રમાયેલી છ મેચની ટેસ્ટ સીરિઝ બાદ વિશ્વનાથનું કરિયર ખતમ થઈ ગયું હતું. આ સીરિઝમાં ભારતની હાર થઈ હતી.

વિશ્વનાથને તેમના સ્કવેર કટ તથા ફ્લિક માટે ઓળખવામાં આવતા હતા. તેઓ એક બોલ પર પાંચ પ્રકારની શોટ રમી શકતા હોવાનું કહેવામાં આવે છે.

1969માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરનારા ગુંડપ્પા વિશ્વનાથે 91 ટેસ્ટમાં 6080 રન બનાવ્યા છે. જેમાં 14 સદી અને 35 અડધી સદી સામેલ છે. ફર્સ્ટ ક્લાસ કરિયરમાં તેમના નામે 17,970 રન છે, જેમાં 44 સદી અને 89 અડધી સદી સામેલ છે.