નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈસીસીને કરેલી અરજી ફગાવી દીધી છે. આઈસીસીએ આતંકવાદને પોષતા દેશો સાથે સંબંધ નહીં રાખવાનો બીસીસીઆઈનો આગ્રહ ફગાવી દેતા આ પ્રકારના મામલામાં આઇસીસીની કોઇ ભૂમિકા નથી. પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોની શહીદી બાદ બીસીસીઆઈએ આઇસીસીને પત્ર લખીને વૈશ્વિક સંસ્થા તથા સભ્ય દેશોને આતંકીઓને શરણ આપતા દેશો સાથે સંબંધ તોડવાની અપીલ કરી હતી.


વાંચોઃ INDvAUS: ધોનીએ બનાવ્યો મોટો રેકોર્ડ, રોહિત-સચિનને રાખ્યા પાછળ

બીસીસીઆઈના અધિકારીએએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે, આઈસીસી ચેરમેને સ્પષ્ટ કરી દીધું કે કોઇ દેશનો બહિષ્કાર કરવાનો ફેંસલો સરકારના સ્તર પર કરવો જોઈએ અને આઈસીસીનો આવો કોઈ નિયમ નથી. બીસીસીઆઈને પણ આ વાતની જાણ હતી તેમ છતાં તેમણે આ અંગે પ્રયત્ન કર્યો હતો.

વાંચોઃ INDvAUS: પ્રથમ વન-ડેમાં ભારતનો 6 વિકેટથી વિજય, કેદાર જાધવના અણનમ 81 રન

બીસીસીઆઈના પત્રમાં પાકિસ્તનનો ઉલ્લેખ નહોતો. આ મુદ્દો શનિવારે આઈસીસીના ચેરમેન શશાંક મનોહરની અધ્યક્ષતામાં યોજાયેલી બોર્ડ બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ તેને કોઈ ખાસ મહત્વ આપવામાં આવ્યું નહોતું. આ બેઠકમાં ભારત તરફથી બીસીસીઆઈનું પ્રતિનિધિત્વ કરી રહેલા કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરી ઉપસ્થિત હતા. બોર્ડ અધિકારીએ કહ્યું, સભ્ય દેશોના ઘણા ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગમાં રમે છે અને તેઓ આ પ્રકારના આગ્રહને માન્ય નથી રાખતા. સુરક્ષાની ચિંતાની વાત હતી અને તેને પૂરતો ન્યાય આપવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમે 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થતાં વર્લ્ડ કપમાં 16 જૂને પાકિસ્તાન સામે રમવાનું છે. પુલવામા હુમલા બાદ અનેક ભારતીય દિગ્ગજો આ મેચના બહિષ્કારની માંગ કરી રહ્યા હતા.