2021 T20 World Cup: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) 17 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહેલા 2021 ટી20 વર્લ્ડકપ માટે ગૃપની જાહેરાત કરી દીધી છે. આઇસીસીએ ટૂર્નામેન્ટને વધુ રોમાંચક બનાવવા માટે ભારત અને પાકિસ્તાનને એક જ ગૃપમાં રાખ્યા છે. આવામાં બે વર્ષ બાદ એકવાર ફરીથી ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો આમને સામને ટકરાશે.  


આઇસીસીએ ભારત અને પાકિસ્તાન બન્નેને ગૃપ 2માં રાખ્યા છે. આ ઉપરાંત આ ગૃપમાં ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બે ક્વૉલિફાયર ટીમો હશે. ઉલ્લેખનીય છે કે 2021 ટી20 વર્લ્ડકપ ઓક્ટોબર-નવેમ્બરમાં સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં રમાશે. 


આ પહેલા છેલ્લીવાર ભારત અને પાકિસ્તાનની ટીમો 2019 વનડે વર્લ્ડકપમાં ટકરાઇ હતી. ત્યારે પણ ભારતે પાકિસ્તાનને માત આપી હતી. પાકિસ્તાન અત્યાર સુધ વનડે અને ટી20 વર્લ્ડકપમાં ભારત વિરુદ્ધ જીત નોંધાવી શક્યુ નથી.  


ગયા ટી20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનને એકજ ગૃપમાં રાખવામાં આવ્યા હતા. જોકે તે સમયે ગૃપ બીમાં આ બે ટીમો ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પણ હતુ. ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટ ફેન્સની મોટી સંખ્યા જોતા આઇસીસીએ ફરી એકવાર બન્ને ટીમોને એક જ ગૃપમાં રાખી છે. 


ભારતમાં રમાવવાનો હતો ટી20 વર્લ્ડકપ-
પુરુષ ક્રિકેટનો મહાકુંભ ટી20 વર્લ્ડકપ 2021 આગામી 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યુએઇ અને ઓમાનમાં આયોજિત કરવામાં આવશે, આ વર્લ્ડકપ પહેલા ભારતમાં રમાવવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે બીસીસીઆઇએ વેન્યૂ શિફ્ટ કરીને યુએઇ અને ઓમાનમાં રમાડવાનો તખ્તો તૈયાર કર્યો હતો, જેને આઇસીસીએ માન્ય રાખીને ઇવેન્ટ પર મહોર મારી હતી. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે આ વાતની પહેલાથી જ જાણકારી આપી દીધી હતી. ખાસ વાત છે કે આ આયોજનમાં ભારતીય ક્રિકેટ બોર્ડ -બીસીસીસીઆઇ યજમાન બનેલુ જ રહેશે. 


T20 World Cup 2021 Schedule- આ ચાર સ્ટેડિયમમાં રમાશે તમામ મેચો- 
આઇસીસી અનુસાર, ટી20 વર્લ્ડકપની તમામ મેચોનુ આયોજન યુએઇ અને ઓમાનના 4 સ્ટેડિયમમાં કરવામાં આવશે. આમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, અબુધાબીનુ શેખ જાયેદ સ્ટેડિયમ, શારજહાં સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ સામેલ છે.