કોરોના વાયરસના કારણે ટી-20 વર્લ્ડ કપ 2020 રદ્દ, IPL માટેનો રસ્તો સાફ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jul 2020 09:16 PM (IST)
કોરોના વાયરસના કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપને રદ કર્યો છે.
કોરોના વાયરસના કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપને રદ કર્યો છે. હવે વર્લ્ડ કપનું આયોજન આગામી વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં થશે. સોમવારે આઈસીસીની બોર્ડ મિટિંગમાં વર્લ્ડ કપ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપ રદ્દ થવાની સાથે જ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનના આયોજન માટે રસ્તો સાફ થયો છે. બીસીસીઆઈ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં આઈપીએલ 13નું આયોજન કરી શકે છે. છેલ્લા બે મહિનાથી વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે નહી થાય તેવી અટકળો ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિયાએ હાલમાં જ સંકેત આપ્યા હતા કે તે આયોજન માટે તૈયાર નથી. છેલ્લા ઘણા દિવસોથી ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. સપ્ટેમ્બરના અંત સુધી ઓસ્ટ્રેલિયાએ પોતાની સરહદ સીલ કરી છે. વર્લ્ડ કપ રદ્દ થવાના કારણે બીસીસીઆઈ માટે આઈપીએલના આયોજનનો રસ્તા સાફ થયો છે. બીસીસીઆઈ પહેલા સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે આઈપીએલના આયોજનની તૈયારી કરી રહ્યું હતું. પરંતુ વર્લ્ડ કપ પર કોઈ આધિકારીક જાહેરાત ન થવાના કારણે બીસીસીઆઈએ આઈપીએલનું નવું શેડ્યૂઅલ અત્યાર સુધી જાહેર નથી કર્યું. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે બીસીસીઆઈ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહથી લઈને નવેમ્બરના પ્રથમ સપ્તાહ વચ્ચે આઈપીએલનું આયોજન કરી શકે છે.