નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં લોકડાઉન છે. સ્કૂલ-દુકાન-ઓફિસો બંધ છે અને રમત ગમત પણ બંધ છે. મહામારી બાદ લોકોની જીવનશૈલીમાં એક પ્રકારનો બદલાવ જોવા મળ્યો છે અને હવે આ બીમારીના કારણે ક્રિકેટનો વર્ષો જૂનો નિયમ પણ બદલાઈ શકે છે.


ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડીઓ અવારનવાર બોલને ચમકાવતાં જોવા મળે છે. મોટાભાગના ખેલાડીઓ થૂંકની લાળ કે પરસેવાથી આ કરે છે. બોલનો એક હિસ્સો ચમકદાર રહે અને બીજો હિસ્સો વધારે ઘસાય અને બોલને રિવર્સ સ્વિંગમાં મદદ મળે તે માટે આમ કરતાં હોય છે.

આઈસીસી આના પર રોક લગાવવાની તૈયારી કરી રહ્યું છે. ઈએસપીએન ક્રિકઈંફોના રિપોર્ટ પ્રમાણે, આઈસીસી હવે લાળ કે પરસેવાથી બોલને ચમકાવવાની પ્રેક્ટિસ પર રોક લગાવવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ આઈસીસીની મેડિકલ ટીમે સલાહ આપી છે કે જો બોલ ચમકાવવા આ રીતનો ઉપયોગ કરવામાં આવશે તો તેનાથી ખેલાડી અને દર્શકો કોરોનાવાયરસની ઝપેટમાં આવી શકે છે.

જેને ધ્યાનમાં રાખી આઈસીસી હવે બોલ ટેમ્પરિંગના નિયમમાં બદલાવ કરવાની તૈયારીમાં છે. અત્યાર સુધી બોલ ચમકાવવા કોઈપણ બાહ્ય પદાર્થનો ઉપયોગ થઈ શકતો નહોતો. જો ખેલાડી તેમ કરે સો બોલ ટેમ્પરિંગનો દોષી માનવામાં આવતો હતો. પરંતુ હવે તેના માટે આર્ટિફિશિયલ શાઈનર કે પોલિશનો ઉપયોગ કરી શકાશે. જો એમ્પાયરની દેખરેખમાં આનો ઉપયોગ થઈ શકશે.