નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને ચેતેશ્રર પુજારાની જગ્યાએ શુક્રવારે પહેલીવાર ભારતીય ટેસ્ટ ટીમના ઉપકેપ્ટન બનાવવામાં આવ્યા છે. નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ભારત પરત આવ્યા બાદ અજિંક્ય રહાણે ટીમના કેપ્ટન બન્યા હતા ત્યારે મેલબર્નમાં રમાયેલી બૉક્સિંગ ડે ટેસ્ટમાં પૂજારાને ઉપકેપ્ટન બનાવાયો હતો.


ટીમ મેનેજમેન્ટે અગાઉથી જ નિર્ણય કર્યો હતો કે રોહિત ફિટ થઈને ટીમમાં જોડાશે તો તેને ઉપકેપ્ટન બનાવાશે. ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું હતું કે, વિરાટની ગેરહાજરીમાં અજિંક્ય રહાણે કેપ્ટન બન્યા બાદ ટીમ ઈન્ડિયાના ઉપકેપ્ટનને લઈને કોઈ શંકા નહોતી, હંમેશા રોહિત જ હતો અને પુજારાને આ જવાબદારી ત્યાં સુધી સોંપવામાં આવી હતી જ્યાર સુધી રોહિત ટીમ સાથે નથી જોડાતો.



અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “રોહિત લાંબા સમયથી સીમિત ઓવરોની ફોર્મેટમાં ભારતીય ટીમનો ઉપકેપ્ટન છે. એવામાં એ જાહેર છે કે વિરાટની ગેરહાજરીમાં તે ટીમનું નેતૃત્વ સમૂહનો હિસ્સો રહેશે.” રોહિત સિડનીમાં 14 દિવસના ક્વોરન્ટાઈન પિરિયડ બાદ બુધવારે મેલબર્નમાં ભારતીય ટીમ સાથે જોડાઈ ગયો છે.



સાત જાન્યુઆરીથી સિડનીમાં રમાનારી ત્રીજી ટેસ્ટ માટે રોહિતે ગુરુવારથી પ્રેક્ટિસ કરવાનું શુરુ કરી દીધું છે. રોહિતે 32 ટેસ્ટમાં 46ની એવરેજથી 2141 રન બનાવ્યા છે.