એડિલેટ ઓવલના મેદાન પર રમાયેલી પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ પહેલીવાર સતત ત્રણ ટેસ્ટ મેચ ગુમાવવી પડી છે. આ વર્ષની શરુઆતમાં જ ન્યૂઝિલેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.


કોહલી સિડનીમાં 2015માં ભારતીય ટીમના ટેસ્ટ કેપ્ટન બન્યા હતા. કોહલીના નેતૃત્વમાં ભારતને આ વર્ષે ન્યૂઝીલેન્ડમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને વેલિંગ્ટનમાં પ્રથમ ટેસ્ટમાં 10 વિકેટથી અને ક્રાઈસ્ટચર્ચમાં બીજી ટેસ્ટમાં 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે હાર સાથે હેટ્રિક લગાવી દીધી છે.

ન્યૂઝીલેન્ડમાં સીરિઝમા હાર પહેલા ભારત સતત સાત ટેસ્ટ મેચ જીત્યું હતું. આ સાત ટેસ્ટમાં બે વેસ્ટઈન્ડીઝ અને પાંચ દક્ષિણ આફ્રિકા તથા બાંગ્લાદેશ વિરુદ્ધ જીત્યું હતું.

કોહલીએ અત્યાર સુધી 56 ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું છે. જેમાં તેણે 33 મેચ જીતી છે અને 13 મેચમાં હારનો સામનો કર્યો છે. જ્યારે 10 ટેસ્ટ મેચ ડ્રો ગઈ હતી.