નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝ પૈકીનો ત્રીજો અને અંતિમ મુકાબલો આવતીકાલે રમાશે. શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને ન્યૂઝીલેન્ડ સીરિઝમાં 2-0ની લીડ લઈ ચૂક્યુ છે અને હવે તેમની નજર ભારતનો વન ડે શ્રેણીમાં વ્હાઇટ વોશ પર છે. ત્રીજી વન ડેમાં ભારત પ્રતિષ્ઠા બચાવવાની કોશિશ કરશે.


વન ડે સીરિઝમાં ભારતે નથી કર્યો સારો દેખાવ

T-20 સીરિઝમાં ન્યૂઝીલેન્ડને 5-0થી હરાવ્યા બાદ ભારત વન ડે શ્રેણી પર જીતી જશે તેવી ચાહકોને આશા હતી પરંતુ શ્રેણીની પ્રથમ બંને મેચમાં તેનાથી ઉલટું જ થયું છે. આવતીકાલની વન ડેમાં ભારત પ્લેઇંગ ઇલેવનમાં મોટો ફેરફાર કરશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ બદલાવ મિડલ ઓર્ડર અને બોલિંગમાં જોવા મળી શકે છે.

કોનું કપાશે પત્તુ, કોને મળશે સ્થાન ?

ટીમ ઈન્ડિયા પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલની જોડીને ઓપનિંગમાં ઉતારશે તે નક્કી છે. વન ડાઉન તરીકે કેપ્ટન કોહલી અને ચોથા નંબરે શ્રેયસ ઐયર પણ નક્કી છે. પાંચમા નંબર પર કેએ રાહુલને આરામ આપવામાં આવી શકે છે અને તેના સ્થાને રિષભ પંતનો સમાવેશ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સીરિઝથી રાહુલ સતત વિકેટકિપર અને બેટ્સમેનની બેવડી ભૂમિકા ભજવી રહ્યો હોવાથી તેને આરામ અપાશે તેમ માનવામાં આવી રહ્યું છે. છઠ્ઠા નંબર પર કેદાર જાધવના સ્થાને મનીષ પાંડે ટીમમાં સ્થાન મેળવી શકે છે.

બુમરાહ થશે બહાર ?

સાતમા નંબર પર સ્પિન ઓલરાઉન્ડર જાડેજા. આઠમા ક્રમે મીડિયમ પેસર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર, નવમા ક્રમે નવદીપ સૈની, 10મા ક્રમે મોહમ્મ્દ શમી અને 11મા ક્રમે યુઝવેન્દ્ર ચહલને મોકો મળી શકે છે. આવતીકાલની વન ડેમાં ટીમ ઈન્ડિયા જસપ્રીત બુમરાહને આરામ આપી શકે છે. પાંચ ટી-20 અને પ્રથમ બે વન ડે મળી કુલ સાત મેચમાં બુમરાહ ખાસ પ્રભાવ પાડી શક્યો નથી. ઈજા બાદ પરત ફરેલા બુમરાહની બોલિંગમાં પહેલા જેવી સાતત્યતા પણ હજુ સુધી જોવા મળી નથી.

આવી હોઈ શકે છે ત્રીજી વન ડેમાં ભારતની પ્લેઇંગ ઇલેવનઃ પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ

IND vs NZ: ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ખાસ પ્લાન, અંતિમ વન ડેમાં રમશે આ મોટો દાવ