નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે શ્રીલંકા વિરુદ્ધ લિમીટેડ ઓવર સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. શિખર ધવનની આગેવાનીમાં શ્રીલંકા રવાના થનારી ટીમ ઇન્ડિયામાં 6 નવા યુવા ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે. આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા પડિકલ અને નીતિશ રાણાને પણ બીસીસીઆઇએ ટીમમાં જગ્યા આપીને ઇનામ આપ્યુ છે.  


બીસીસીસીઆઇએ શ્રીલંકા પ્રવાસ માટે શિખર ધવનની આગેવાનીમાં યુવા ખેલાડીઓ પર દાંવ લગાવવાનો ફેંસલો કર્યો છે. દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, ચેતન સાકરિયા, સ્પીનર વરુણ ચક્રવર્તી, નીતિશ રાણા અને કૃષ્ણપ્પા ગૌતમ તે ખેલાડી છે, જે પહેલીવાર ટીમ ઇન્ડિયા માટે રમતા દેખાશે. 


શ્રીલંકા પ્રવાસ પર આ 6થી 3 કે 4 ખેલાડીઓને ડેબ્યૂનો મોકો મળી શકે છે. વરુણ ચક્રવર્તીને જોકે પહેલા પણ બે વાર ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, પરંતુ બન્ને વાર ફિટનેસ ટેસ્ટ પાસ ના કરી શકવાના કારણે વરુણ ચક્રવર્તી ટીમનો ભાગ ન હતો બની શક્યો.શ્રીલંકા પ્રવાસ દરમિયાન કેપ્ટન શિખર ધવનની સાથે ઓપનિંગની જવાબદારી દેવદત્ત પડિકલ સંભાળી શકે છે. દેવદત્ત પડિકલ આઇપીએલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ક્રિકેટર ચેતન સાકરીયા પણ જોરદાર ફોર્મમાં છે. પડિકલ અગાઉથી જ આઇપીએલમાં બેટિંગમાં દમ બતાવતા એક સદી ફટકારીને તેની દાવેદારી પાક્કી કરી ચૂક્યો હતો. સાકરિયા આઇપીએલમાં સાત મેચમાં સાત વિકેટ લઇને તરખાટ મચાવી ચૂક્યો છે. ખાસ વાત છે કે, છેલ્લા કેટલાક સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર રહેલા પૃથ્વી શૉને વાપસીનો મોકો મળ્યો છે. પૃથ્વી શૉ હાલ તાબડતોડ ફોર્મમાં છે, અને આઇપીએલમાં શિખર ધવન સાથે ઓપનિંગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી ધમાલ મચાવી રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં ટીમ ઇન્ડિયાને ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચો રમવાની છે. બન્ને ટીમોની વચ્ચે પહેલી વનડે મેચ 13 જૂલાઇએ રમાવવાની છે. 25 જુલાઇએ રમાનારી છેલ્લી ટી20 મેચથી ભારતનો શ્રીલંકા પ્રવાસનો અંત થશે.