વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ધવને નહીં પણ આ બેટ્સમેને કરવી જોઈએ શરૂઆત, જાણો વિગત
abpasmita.in | 14 Feb 2019 01:39 PM (IST)
નવી દિલ્હીઃ ભારત માટે માત્ર 3 વન ડે રમ્યા બાદ યુવા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતને વર્લ્ડકપની ટીમમાં સામેલ કરવાની વાત કહેવામાં આવી રહી છે. ક્રિકેટ જગતના દિગ્ગજ સ્પિનર શેન વોર્ને પણ કહ્યું કે, ભારતીય ટીમ આગામી વિશ્વકપમાં રિષભનો ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉપયોગ કરી શકે છે. પંતે રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરવી જોઈએ. વોર્ને સ્પષ્ટતા કરી કે, મારો મતલબ ધોનીની ટીમમાંથી હકાલપટ્ટી કરવી જોઈએ તેવો નથી. ધોની વર્લડકપ સુધી વિકેટકિપર તરીકે ટીમમાં રહેવો જોઈએ જ્યારે પંતે એક સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવો જોઈએ. મને લાગે છે કે ધોની અને પંત બંને ભારતીય ટીમમાં સાથે રમી શકે છે. પંત પાસે ઓપનિંગ કરાવવા અંગે વોર્ને કહ્યું કે, હું જાણું છું કે ધવન એક સારો ઓપનર છે અને તેનું કામ શાનદાર છે. પરંતુ પંત પાસે ઓપનિંગ કરાવવાની ભારતની વ્યૂહાત્મક ચાલ વિરોધીઓને હેરાન કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામે 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી શ્રેણીમાં ભારત પંતને ઓપનિંગમાં અજમાવી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 24 ફેબ્રુઆરીથી 2 મેચની T20 અને 5 મેચની વન ડે શ્રેણીનો પ્રારંભ થશે.