નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈ આજે વન ડે, ટી-20 અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ત્રણેય ફોર્મેટમાં રોહિત શર્માનું નામ ન હોવાથી ક્રિકેટ રસિકોને આશ્ચર્ય થયું હતું.


રોહિત શર્મા આઈપીએલમાં હેમસ્ટ્રિંગ ઇંજરીનો સામનો કરી રહ્યો છે. જેના કારણે તે આઈપીએલની બાકી સીઝન પણ ગુમાવી શકે છે. રોહિત ચાલુ વર્ષે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ઈજાગ્રસ્ત થયો હતો જે બાદ વન ડે અને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરી દેવાયો હતો. આ પછી કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે તે ઈજામુક્ત થયો હતો. પરંતુ હાલ યુએઈમાં રમાઇ રહેલી આઈપીએલ 2020માં એક મેચ દરમિયાન ફરી હેમસ્ટ્રિંગનો શિકાર બન્યો હતો અને આ કારણે તેને હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમથી બહાર રાખવામાં આવ્યો છે. બીસીસીઆઈની મેડિકલ આઈપીએલમાં રમતી વખતે ઇજાગ્રસ્ત થયેલા રોહિત શર્માની ઈજા પર નજર રાખશે.

આઈપીએલમાં ધમાકેદાર બેટિંગ કરનારા શુભમન ગિલને ટેસ્ટ અને વન ડે ટીમમાં સ્થાન અપાયું છે. ત્રણેય ફોર્મેટમાં વિકેટકિપિંગ જવાબદારી અલગ અલગ ક્રિકેટર્સને સોંપાઈ છે. ટેસ્ટમાં સાહા અને પંત, વન ડેમાં લોકેશ રાહુલ, ટી-20માં સંજ સેમસન અને લોકેશ રાહુલને વિકેટ કિપિંગની જવાબદારી સોંપવામાં આવી છે.

બીસીસીઆઈના પસંદગીકર્તાએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ઓસ્ટ્રેલિયા પ્રવાસની ટીમ જાહેર કરી હતી. ભારત ઓસ્ટ્રેલિયામાં ત્રણ ટી-20, ત્રણ વન ડે અને ચાર ટેસ્ટ મેચ રમશે.