નવી દિલ્હીઃ ભારતીય ટીમ પોતાની ટેસ્ટ ઇતિહાસની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા જઇ રહ્યું છે, આ મેચ કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં 14 નવેમ્બરે શરૂ થશે. બીસીસીઆઇએ ડે-નાઇટ ટેસ્ટની મંજૂરી આપી દીધી છે, અને હવે તેનો સમય પણ નક્કી કરી દેવામાં આવ્યો છે. બીસીસીઆઇએ ડે-નાઇટ ટેસ્ટને 1 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી જ રમાડવાની મંજૂરી આપી છે.


બીસીસીઆઇએ ડે-નાઇટ ટેસ્ટના સમયને લઇને મોટો ખુલાસો કર્યો છે, બોર્ડનું કહેવું છે કે, આ સમય રાખવા પાછળ ઋતુ (શિયાળો) જવાબદાર છે.



બોર્ડના અધિકારીઓએ જણાવ્યું કે, બીજી ટેસ્ટમાં ટાઇમિંગને લઇને ખાસ વાતચીત થઇ, હાલ ભારતમાં શિયાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે, જેના કારણે મોડે સુધી રમવુ શક્ય નથી. ઠંડીની મોસમમાં ખેલાડીઓને રમવામાં સમસ્યાઓ નડી શકે છે, જેથી બોર્ડે ડે-નાઇટ ટેસ્ટને રાત્રે 8 વાગ્યુ સુધી જ રમાડવાની મંજૂરી આપી છે.

શિયાળાની ઋતુ ચાલી રહી છે જેના કારણે મેદાનમાં ઝાકળ અને ઠંડીનો અનુભવ થઇ શકે છે. જે ખેલાડીઓને રમવામાં મુશ્કેલી પેદી કરી શકે છે. BCCIના અધિકારીએ જણાવ્યું કે, સીએબીએ ટાઇમિંગ ચેન્જીંગ માટે અમને કહ્યું હતું જે અમે માની લીધી છે. બપોરે ડે-નાઇટ ટેસ્ટ શરૂ થશે, ત્રણ વાગ્યા સુધી પહેલુ સેશન પુરુ થઇ જશે. બીજુ સેશન 3: 40 વાગે શરૂ થશે, અને 5:40 વાગે પુરુ થઇ જશે, અને અંતિમ સત્ર 6 થી 8 વાગ્યુ સુધી ચાલશે.



નોંધનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાવવાની છે. જેમાં પ્રથમ ટેસ્ટ મેચ ઇન્દોરમાં અને બીજી ટેસ્ટ મેચ કોલકત્તામાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાશે.