India vs Pakistan Clash: શું પાકિસ્તાન (Pakistan) ટીમ વિરાટ કોહલી (Virat Kohli)થી પણ વધુ સતર્ક રોહિત શર્મા (Rohit Sharma)ને લઇને છે? એવુ હોઇ શકે છે કેમ કે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર, દિગ્ગજ ક્રિકેટર અને કૉચ મુદસ્સર નજરે કહ્યું છે કે ટીમને રોહિત શર્માથી વધુ સતર્ક રહેવુ પડશે. મુદસ્સર નજરે ABP ન્યૂઝને કહ્યું કે, રોહિત શર્મા ઓપનિંગ માટે આવે છે, અને વધુ સમય સુધી બેટિંગ કરી શકે છે. તે પીચની ચારેય બાજુ આસાનીથી શોર્ટ ફટકારવામાં સક્ષમ છે. 


24 ઓક્ટોબરે રમાનારી ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)ની વચ્ચેની મેચ પહેલા મુદસ્સર નજરે કહ્યું કે, વિરાટ કોહલી ભલે દુનિયાનો ટૉપનો બેટ્સમેન છે, પરંતુ આપણે રોહિત શર્માથી સાચવવુ પડશે, રોહિત શર્મા કોઇનાથી કમ નથી. મુદસ્સર નજરે આ મેચ માટે ભારતીય ટીમને જ ફેવરેટ માની છે. મુદસ્સર નજરનુ કહેવુ છે કે રોહિત શર્મા ગમે ત્યારે ગમે તે બૉલિંગ આક્રમણને ધરાશાયી કરી શકે છે, જોકે, તેને એમ પણ કહ્યું કે, પાકિસ્તાનનુ બૉલિંગ એટેક ખુબ મજબૂત છે, તેમની પાસે કેટલાય એવા બૉલરો છે જેમનામાં મોટી મેચોમાં સારુ કરવાનુ કાબેલિયત છે.  




પાકિસ્તાન ટીમ પર રહેશે દબાણ -
દુબઇથી રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને સામને ટકરાશે. ભારત અને પાકિસ્તાનન વચ્ચે અત્યાર સુધીમાં વનડે અને ટી20 વર્લ્ડકપમાં મળીને 12 મુકાબલા રમાયા છે અને તમામ ભારતે જીત્યા છે. વન ડે વર્લ્ડકપમાં ભારત 7 અને ટી20 વર્લ્ડકપમાં 5 મેચ જીત્યું છે. પાકિસ્તાનનું હંમેશા સપનું વર્લ્ડકપમાં ભારતને હરાવવાનું રહ્યું છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી આ સપનું પૂરું થઈ શક્યું નથી. ભારત અને પાકિસ્તાન વર્લ્ડકપમાં પ્રથમ વખતે 1992માં ટકારાયા હતા. જે બાદ 2007માં જ્યારે ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ ત્યારથી આ બંને હરિફ દેશો આ ફોર્મેટમાં પણ ટકરાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાન ભારતને આજદિન સુધી હરાવી શક્યું નથી. આ રેકોર્ડને જોતા પાકિસ્તાની ટીમ પર વધુ દબાણ રહેશે. 


ઉલ્લેખનીય છે કે ટી20 વર્લ્ડકપનુ સુપર 12 સ્ટેજ શનિવારથી શરૂ થશે. પરંતુ ક્રિકેટ ફેન રવિવારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાનારી મેચનો ઇન્તજાર કરી રહ્યાં છે. છેલ્લે બન્ને ટીમો 2019ના વનડે વર્લ્ડકપમાં ટકરાઇ હતી, અને ભારતે ત્યાં જીત મેળવી હતી.