ટી-20:સાઉથ આફ્રિકા સામે ધોનીને ટીમમાં ન કરાયો સામેલ, જાણો શું રહ્યું કારણ?
abpasmita.in | 29 Aug 2019 10:07 PM (IST)
નોંધનીય છે કે અગાઉથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સાઉથ આફ્રિકા સામે ધોનીને ટીમમાં સ્થાન આપવામાં આવશે નહી.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટી-20 સીરિઝ માટેની ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. બીસીસીઆઇએ ગુરુવારે ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં હાર્દિક પંડ્યાની વાપસી થઇ છે જ્યારે ધોનીને ટીમમા સામેલ કરવામા આવ્યો નથી તેના સ્થાને ઋષભ પંતને સ્થાન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે અગાઉથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સાઉથ આફ્રિકા સામે ધોનીને ટીમમાં સ્થાન આપવામાં આવશે નહી. ધોનીને ટીમમાં સ્થાન નહી આપવા પાછળ શું કારણ છે તેને લઇને બીસીસીઆઇનો કોઇ અધિકારી બોલવા તૈયાર નથી પરંતુ એવી ચર્ચા છે કે ખેલાડીઓને ઓક્ટોબર 2020માં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. જો આ વાત સાચી માનવામાં આવે તો એ સ્પષ્ટ સંકેત મળી ગયા છે કે ધોની આગામી ટી-20 વર્લ્ડકપ રમશે નહીં. વર્લ્ડકપ અગાઉ પસંદગીકર્તા ધોનીનો વિકલ્પ શોધવાની શરૂઆત કરી દીધી છે. આ ક્રમમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ પંતને સતત તક આપી રહ્યું છે. જોકે, પંતનું પ્રદર્શન એટલું સારુ રહ્યુ નથી. જ્યારે પંત સિવાય બીસીસીઆઇની નજર સંજૂ સેમસન અને ઇશાન કિશન પર છે. છેલ્લા કેટલાક સમયમાં સંજૂ અને કિશને ઇન્ડિયા એ તરફથી રમતા શાનદાર પ્રદર્શન કર્યું છે.