નવી દિલ્હીઃ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોની વગર રમવાની આદત પાડવી પડશે કારણ કે બે વખત વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હંમેશા નહીં રમે. ગાંગુલીએ કહ્યું, ભારતીય ક્રિકેટે તેની આદત પાડવી પડશે કે ધોની લાંબા સમય સુધી નહીં રમે. મારું માનવું છે કે, આ નિર્ણય ધોનીએ જ લેવાનો છે.


ગાંગુલીએ એક ખાનગી ચેનલને જણાવ્યું કે, દરેક મોટા ખેલાડીએ નિવૃત્તી લેવી પડે છે. આ રમત છે. ફુટબોલમાં મેરેડોનાએ પણ નિવૃત્તી લીધી હતી. સચિન, બ્રાયન લારા, સર ડોન બ્રેડમેન, બધા ખેલાડીઓએ પોતાની રતમને અલવિદા કહેવું પડ્યું તું. આવું જ થાય છે. જોકે ધોની અંગે ગાંગુલીએ કહ્યું કે, અંતિમ નિર્ણય તો તેને જ લેવાનો છે.

ઉલ્લેખનિય છે કે, એમએસ ધોનીએ ક્રિકેટથી બે મહિનાનો આરામ લીધો છે. ભારતીય સેનામાં લેફ્ટિનેન્ટ કર્નલની ઉપાધિ મેળવી ચૂકેલ પૂર્વ ભારતીય કેપ્ટન ધોની હાલમાં જ ટેરિટોરિયલ આર્મી સાથે જમ્મુ-કાશ્મીરમાં ડ્યૂટી કરવા માટે ગયો હતો. 15 ઓગસ્ટ સુધી તે સેના સાથે જોડાયેલ રહ્યો હતો. આ પહેલા ચર્ચા હતી કે, વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ બાદ ક્રિકેટને અલવિદા કહી દેશે, પરંતુ તેણે આવું કર્યું નહી.