નવી દિલ્હીઃ IPL એલિમિનેટર મુકાબલમાં બુધવારે દિલ્હી કેપિટલ્સનો અમિત મિશ્રા સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ફિલ્ડરને વિધ્ન નાંખવાના (ઓબ્સટ્રક્ટિંગ ધ ફિલ્ડ) કારણે આઉટ આપવામાં આવ્યો હતો. આઈપીએલ 2019માં આ રીતે આઉટ થનારો તે પ્રથમ ખેલાડી છે. ટુર્નામેન્ટમાં 6 વર્ષ પછી કોઇ બેટ્સમેન આ રીતે આઉટ થયો હતો. આ પહેલા 2013માં કોલકાતા નાઇટરાઇડર્સ તરફથી રમતી વખતે યુસુફ પઠાણ પૂણે વોરિયર્સ ઈન્ડિયા સામે આ રીતે આઉટ થયો હતો.


ક્રિકેટના નિયમ 37 મુજબ, કોઈ બેટ્સમેન રન દોડતી વખતે ફિલ્ડરને તેના બેટ કે શરીરના હિસ્સા વડે વિધ્ન નાંખે તો આઉટ જાહેર કરવામાં આવે છે. ક્રિકેટના નિયમો બનાવતી સંસ્થા MCCએ આ કાનૂન બનાવ્યો હતો.

દિલ્હીને હૈદરાબાદ સામે જીતવા માટે 3 બોલ પર 2 રનની જરૂર હતી. ખલીલ અહમદ બોલિંગ કરતો હતો. અહમદે ફેંકલા ચોથા બોલ પર અમિત મિશ્રા શૉટ ફટકારી શક્યો નહોતો અને બોલ વિકેટકિપર રિદ્ધિમાન સાહા પાસે ગયો હતો. તેણે કિમો પોલને રનઆઉટ કરવા બોલ સ્ટંપ તરફ ફેંક્યો હતો. બોલ સ્ટંપમાં લાગવાના બદલે ખલીલ પાસે પહોંચ્યો હતો. જે બાદ ખલીલે નોન સ્ટ્રાઇકર એન્ડ પર થ્રો કર્યો હતો પરંતુ મિશ્રા બોલની વચ્ચે આવી ગયો હતો. જે બાદ સનરાઇઝર્સે રિવ્યૂ લીધો હતો અને તેમાં તે આઉટ જાહેર થયો હતો.