IPL 2019: બેગ્લોરને હરાવીને પ્લેઓફમાં સ્થાન મેળવવા માંગશે દિલ્હી કેપિટલ્સ
abpasmita.in | 28 Apr 2019 12:54 PM (IST)
દિલ્હી ટીમને પ્લેઓફમાં પ્રવેશવા માટે એક જીતની જરૂર છે જ્યારે આરસીબીને પ્લે ઓફની રેસમાં રહેવા જીત મેળવવી પડશે.
નવી દિલ્હીઃ આઇપીએલની 12મી સીઝનમાં આજે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે મેચ રમાશે. દિલ્હી ટીમને પ્લેઓફમાં પ્રવેશવા માટે એક જીતની જરૂર છે જ્યારે આરસીબીને પ્લે ઓફની રેસમાં રહેવા જીત મેળવવી પડશે. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ દિલ્હીમાં ક્રિકેટ શીખ્યો છે અને તે દિલ્હીની પિચથી સારી રીતે પરીચિત છે. કોહલીની ટીમનું પ્રદર્શન છેલ્લી મેચોમાં સારુ રહ્યું છે. જ્યારે આઇપીએલની શરૂઆતમાં આઠ મેચમાં આરસીબીએ સાત મેચમાં હારનો સામનો કર્યો હતો. જોકે, હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં અંતિમ સ્થાન પર છે. જો દિલ્હી સામે આરસીબી હારશે તો ટીમ માટે પ્લેઓફના દરવાજા લગભગ બંધ થઇ જશે. કોટલા મેદાનમાં દિલ્હીએ આ સીઝનમાં પાંચ મેચ રમી છે તેમાં બેમાં જ જીત મેળવી છે. આઇપીએલમાં વિરાટ કોહલીએ પોતાની પ્રથમ મેચ 18 એપ્રિલ 2008માં કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રમી હતી. ત્યારથી લઇને કોહલી કોટલા મેદાનમાં આઠ આઇપીએલ મેચ રમી ચૂક્યો છે. આ આઠમાંથી પાંચ મેચમાં તેણે 405 રન બનાવ્યા છે. જેમાં પાંચ અડધી સદી સામેલ છે.