આઈપીએલ 2020ના એલિમિનેટર મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 6 વિકેટથી હરાવ્યું હતું. આ હાર સાથે આરસીબી માટે ટૂર્નામેન્ટ સમાપ્ત થઈ છે. હૈદરાબાદ સામે મળેલી હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી ખૂબ નિરાશ છે. મેચમાં હાર બાદ તેણે બેટ્સમેનને દોષી ગણાવ્યા છે.


કોહલીએ કહ્યું જો તમે પ્રથમ ઈનિંગની વાત કરો તો મને લાગે છે અમે પર્યાપ્ત સ્કોર બનાવ્યો હતો. અમે ખૂબ ઓછા અંતરથી હાર્યા છીએ. જો અમે કેન વિલિયમસનને આઉટ કરવામાં સફળ થયા હોત તો મેચનું પરિણામ કંઈક અલગ હોત. કુલ મળીને અમે તેમના બોલરો પર દબાવ ન બનાવી શક્યા અને અમે તેને પોતાના પ્લાન મુજબ બોલિંગ કરવા દિધી હતી.

આરસીબીના કેપ્ટન કોહલીએ આગળ કહ્યું, છેલ્લા ચાર મેચ અમારા માટે અજીબ રહ્યા. અમે સીધા જ ફિલ્ડરના હાથમાં શોટ રમ્યા. અમારા કેટલાક ખેલાડીઓએ આ સીઝનમાં સારૂ પ્રદર્શન કર્યું છે. દેવદત્ત પડિકલ અને મોહમ્મદ સિરાઝ એ ખેલાડીઓમાં સામેલ છે. જ્યારે ડિવિલિયર્સ અને યુજવેંદ્ર ચહલે હંમેશાની જેમ આ સીઝનમાં પણ સારૂ પ્રદર્શન કર્યું છે.

કોહલીએ આગળ આ સીઝનમાં ખૂબ પ્રતિસ્પર્ધા થવા પર કહ્યું, આ વખતે વિરોધી ટીમને મેદાન પર રમવા જેવો મામલો નથી. તમામ માટે પ્રતિસ્પર્ધા એક જેવી હતી. તમારે તમારી અસલી મજબૂતી બતાવવાની હોય છે. એટલે જ આ ખૂબ જ પ્રતિસ્પર્ધી સીઝન રહી છે.