IPL 2025 DC vs LSG: વિશાખાપટ્ટનમમાં રમાયેલી IPLની ચોથી મેચમાં દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન આશુતોષ શર્માએ બધાને સ્તબ્ધ કરી દીધા. તેમની 66 રનની અણનમ ઇનિંગ્સે દિલ્હી કેપિટલ્સને 1 વિકેટથી જીત અપાવી. જ્યારે તેમની ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી, ત્યારે તેમણે એકલા હાથે મજબૂત લખનઉ ટીમને પડકાર ફેંક્યો અને છેલ્લી ઓવરમાં જીત માટે 6 રનનો લક્ષ્યાંક આવી ગયો. પરંતુ LSG પાસે છેલ્લી ઓવરમાં જીતવાની તક હતી, જે LSGના કેપ્ટન ઋષભ પંતે પોતે ગુમાવી દીધી. જોકે, દિલ્હી કેપિટલ્સ સામેની રોમાંચક મેચમાં પંતે નિર્ણાયક ક્ષણે કરેલી ભૂલને વધારે મહત્વ આપ્યું ન હતું.


ખરેખરમાં, થયું એવું કે દિલ્હીને છેલ્લી ઓવરમાં જીતવા માટે 6 રનની જરૂર હતી. પંતે આશ્ચર્યજનક નિર્ણય લીધો અને બોલ શાહબાઝ અહેમદને સોંપ્યો. પહેલા જ બોલ પર મોહિત શર્મા શોટ રમવા માટે ક્રીઝની બહાર આવ્યો પરંતુ તે બોલને યોગ્ય રીતે ટચ ના કરી શક્યો, અને તે તેના પેડ પર વાગ્યો. પંત પાસે સ્ટમ્પિંગ કરવાની તક હતી પણ તે તેનો લાભ લઈ શક્યો નહીં. બોલ વિકેટની પાછળ ગયો, જેનાથી બેટ્સમેન અને કીપર ઋષભ ચોંકી ગયા અને બધાને ચકમો આપી દીધો. આ રીતે છેલ્લી વિકેટ લેવામાં ઋષભ પંત સ્ટમ્પિંગ ચૂકી ગયો હતો.



DC vs LSG: ઋષભ પંતના કારણે જ દિલ્હી સામે હાર્યુ લખનઉ, મોટી ભૂલનો વીડિયો આવ્યો સામે, જુઓ


ઋષભ પંતે સ્ટમ્પિંગની તક ગુમાવી દીધી પણ તેણે તરત જ DRS લઈ લીધો. રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ સ્ટમ્પ ચૂકી રહ્યો હતો, જેનાથી દિલ્હીને રાહત મળી. ત્યારબાદ મોહિતે એક સિંગલ લીધો અને આશુતોષ સ્ટ્રાઈક પર આવ્યો અને બીજા જ બોલ પર શાહબાઝ અહેમદના માથા પર જોરદાર સિક્સર ફટકારીને દિલ્હીને એક વિકેટથી જીત અપાવી. એનો અર્થ એ થયો કે જો ઋષભ તે સ્ટમ્પિંગ ચૂકી ન ગયો હોત, તો આ જીત ચોક્કસપણે લખનઉને મળી હોત.






દિલ્હીની જીત પછી જ્યારે ટીમ અને ચાહકો ખુશ હતા, ત્યારે લખનઉના ચાહકોએ સ્ટમ્પિંગની તે ક્ષણની ચર્ચા શરૂ કરી દીધી. પરંતુ પંતે તેને રમતનો એક ભાગ માનીને તેના પર વધુ ધ્યાન આપ્યું નહીં. મેચ પછીના પ્રેઝન્ટેશનમાં તેમણે કહ્યું, "અલબત્ત, આ રમતમાં નસીબ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તે (મોહિત શર્મા) પેડ ચૂકી ગયો હોત, તો સ્ટમ્પિંગની તક મળી શકી હોત. પરંતુ ક્રિકેટમાં આવી ઘટનાઓ બનતી રહે છે. આપણે આ પર ધ્યાન આપવાને બદલે વધુ સારું રમવું જોઈએ." પરંતુ ચાહકોએ આ માટે સીધા ઋષભ પંતને જવાબદાર ઠેરવ્યા. લખનઉ તેની નબળી કીપિંગને કારણે મેચ હારી ગયું.






વિશાખાપટ્ટનમના VSR સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટૉસ દિલ્હીના પક્ષમાં ગયો અને તેણે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. લખનઉના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. મિશેલ માર્શ (૭૨) અને નિકોલસ પૂરન (૭૫) એ દિલ્હીના બોલરોને ફટકાર્યા. માર્શે દિલ્હીના બોલરો સામે આક્રમક વલણ અપનાવ્યું, જ્યારે પૂરણ સ્પિનરો માટે દુઃસ્વપ્ન સાબિત થયો. આ બંનેની શાનદાર ઇનિંગ્સથી લખનૌનો સ્કોર 209/8 સુધી પહોંચવામાં મદદ મળી.


દિલ્હીની ઇનિંગ્સ દરમિયાન, લક્ષ્યનો પીછો કરતી વખતે મેચ ઘણી વખત લખનઉ અને દિલ્હીની તરફેણમાં ગઈ. લખનઉએ સચોટ લાઇન અને લેન્થ સાથે બોલિંગ કરી અને દિલ્હીના ટોપ-ઓર્ડરને બરબાદ કરી દીધો. સાતમી ઓવરમાં દિલ્હી 65/5 પર સંઘર્ષ કરી રહી હતી અને તેમનો વિજય લગભગ અશક્ય લાગતો હતો. પરંતુ ટીમને એક ચમત્કારિક પ્રદર્શનની જરૂર હતી અને આશુતોષે તે કર્યું.


જોકે, આશુતોષે વિજયની સ્ટૉરી લખી. તેમણે બે મહત્વપૂર્ણ ભાગીદારી કરીને દિલ્હીની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આશુતોષ અને વિપ્રાજ નિગમ (39) વચ્ચે 55 રનની ભાગીદારી, ટ્રિસ્ટન સ્ટબ્સ અને આશુતોષ વચ્ચે 45 રનની ભાગીદારી. અગાઉ, અક્ષર પટેલ અને ફાફ ડુ પ્લેસિસ વચ્ચે 43 રનની ભાગીદારીએ વિજયનો પાયો નાખ્યો.


આ ભાગીદારીઓના મહત્વને સ્વીકારતા, ઋષભ પંતે કહ્યું, "દિલ્હીએ કેટલીક સારી ભાગીદારીઓ બનાવી. એક સ્ટબ્સ સાથે એક આશુતોષ સાથે અને એક વિપ્રાજ નિગમ સાથે. મને લાગે છે કે નિગમે શાનદાર રમ્યો અને તેણે મેચ અમારી પાસેથી છીનવી લીધી. બોલરો માટે પણ ઘણું બધું હતું, પરંતુ આપણે મૂળભૂત બાબતોમાં વધુ સુધારો કરવો પડશે. અમે દબાણ અનુભવ્યું, પરંતુ અમે હજુ પણ ટીમને સ્થિર કરવાની પ્રક્રિયામાં છીએ. આ મેચમાંથી અમને ઘણી સકારાત્મક બાબતો મળી છે." દિલ્હી કેપિટલ્સે આશુતોષ શર્માના છેલ્લા વિજયી છગ્ગાની મદદથી ૧૯.૩ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૨૧૧ રન બનાવીને મેચ જીતી લીધી.