CSK vs KKR highlights: IPL 2025માં શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સને તેમના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ રાઈડર્સે ૮ વિકેટે પરાજય આપ્યો હતો. આ હાર CSK માટે વધુ એક આંચકો સમાન છે, કારણ કે આ સિઝનમાં આ તેમની સતત પાંચમી હાર છે. એટલું જ નહીં, ચેપોકના મેદાન પર CSKની આ સૌથી મોટી હાર પણ છે.

શુક્રવારે રમાયેલી IPL 2025ની ૨૫મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને કોઈ તક આપ્યા વિના ૮ વિકેટે વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા CSKની ટીમ માત્ર ૧૦૩ રન જ બનાવી શકી હતી. KKRના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં સુનીલ નારાયણે ૩ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી KKRની ટીમે સુનીલ નારાયણની ૧૮ બોલમાં ૪૪ રનની તોફાની ઇનિંગના આધારે માત્ર ૧૦.૧ ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ સિઝનમાં ચેન્નાઈની આ સતત પાંચમી હાર છે અને IPLના ઇતિહાસમાં પ્રથમ વખત CSK પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોક પર સતત ત્રણ મેચ હારી છે. આ મેદાન પર રનની દ્રષ્ટિએ પણ CSKની આ સૌથી મોટી હાર છે.

૧૦૪ રનના નાના લક્ષ્યાંકનો પીછો કરતા KKRના ઓપનર ક્વિન્ટન ડી કોક અને સુનીલ નારાયણે પ્રથમ વિકેટ માટે માત્ર ૪ ઓવરમાં ૪૬ રનની ભાગીદારી કરી હતી. ડી કોક ૧૬ બોલમાં ૨૩ રન બનાવીને આઉટ થયો હતો, જેમાં તેણે ૩ છગ્ગા ફટકાર્યા હતા. બીજી વિકેટ ૮મી ઓવરમાં સુનીલ નારાયણના રૂપમાં પડી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેણે પોતાનું કામ કરી દીધું હતું. નરેને માત્ર ૧૮ બોલમાં ૫ છગ્ગા અને ૨ ચોગ્ગાની મદદથી ૪૪ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સે આ મેચ જીતીને IPL 2025માં પોતાની ત્રીજી જીત નોંધાવી છે. KKRના બોલરોએ આ મેચમાં અદભુત પ્રદર્શન કર્યું હતું અને CSKને ૨૦ ઓવરમાં માત્ર ૧૦૩ રન સુધી સીમિત કરી દીધી હતી. ત્યારબાદ બેટ્સમેનોએ પણ શાનદાર પ્રદર્શન કરતા માત્ર ૧૦.૧ ઓવરમાં લક્ષ્યાંક પાર પાડી લીધો હતો. સુનીલ નારાયણે KKRની જીતમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી, તેણે બોલિંગમાં ૩ વિકેટ લીધી અને બેટિંગમાં ૪૪ રનની શાનદાર ઇનિંગ રમી હતી. એમએસ ધોનીએ ફરીથી કેપ્ટનશીપ સંભાળ્યા બાદ પણ CSKનું ખરાબ પ્રદર્શન યથાવત રહ્યું છે અને ટીમ સતત પાંચમી મેચ હારી ગઈ છે.

CSK સામે ૧૦૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા KKRને સુનીલ નારાયણ અને ક્વિન્ટન ડી કોકની જોડીએ શાનદાર શરૂઆત અપાવી હતી અને પ્રથમ વિકેટ માટે ૪૬ રનની ભાગીદારી કરીને CSKને મેચમાં વાપસી કરવાની કોઈ તક આપી નહોતી. ક્વિન્ટન ડી કોક ૨૩ રન બનાવીને આઉટ થયા બાદ સુનીલ નારાયણે આક્રમક બેટિંગ ચાલુ રાખી હતી. ત્યારબાદ અજિંક્ય રહાણેએ અણનમ ૨૦ રન અને રિંકુ સિંહે અણનમ ૧૫ રન બનાવીને ટીમને વિજય સુધી પહોંચાડી હતી.

આ મેચમાં KKRના બોલરોએ પણ કમાલનું પ્રદર્શન કર્યું હતું. સુનીલ નરેને ૩ વિકેટ લીધી હતી, જ્યારે વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાએ ૨-૨ વિકેટ પોતાના નામે કરી હતી. વૈભવ અરોરા અને મોઈન અલીને પણ એક-એક સફળતા મળી હતી. એક સમયે CSKએ ૭૯ રનમાં ૯ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ શિવમ દુબેની અણનમ ૩૧ રનની ઇનિંગના કારણે તેઓ ૧૦૦ રનનો આંકડો પાર કરી શક્યા હતા.