Playoffs: આઈપીએલ 2022માં અત્યાર સુધીમાં 47 મેચ રમાઈ છે અને લીગ સ્ટેજની 23 મેચો રમવાની બાકી છે. એટલે કે પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ચાર ટીમો નક્કી કરવા માટે હજુ ઘણી મેચો રમવાની બાકી છે. જોકે, અત્યાર સુધીની મેચોના પરિણામોને જોતા કેટલીક ટીમોનું પ્લેઓફમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. તો આ સાથે કેટલીક ટીમો પ્લેઓફમાં નહી પહોંચી શકે તે પણ સ્પષ્ટ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. 


ગુજરાત અને લખનઉનું પ્લે ઓફમાં સ્થાન લગભગ નિશ્ચિતઃ
ગુજરાત ટાઈટન્સ તેની 9 મેચમાં માત્ર એક મેચ હારી છે. આ ટીમે 8 મેચ જીતી છે. સંભવિત સમીકરણોને જોતા એમ કહી શકાય કે જો આ ટીમ તેની બાકીની 5 મેચ હારી જાય તો પણ અત્યાર સુધીની જીત સાથે આ ટીમ પ્લેઓફમાં જગ્યા નિશ્ચિત કરી શકે છે. IPLની પાછલી સિઝનમાં પણ એવું જોવા મળ્યું છે કે ટીમો 14 માંથી 8 મેચ જીતીને IPL પ્લેઓફમાં સરળતાથી પહોંચી હતી. બીજી તરફ લખનઉ સુપર જાયન્ટ્સે પણ તેની 10 મેચમાંથી 7 મેચ જીતી છે. ટીમની માત્ર 4 મેચ બાકી છે. જો લખનઉ આ 4 મેચોમાંથી એક પણ મેચ જીતી લે છે, તો પ્લેઓફમાં તેનું સ્થાન પણ લગભગ નિશ્ચિત થઈ જશે.


મુંબઈ લગભગ બહાર, CSK અને KKR આઉટ થવાના આરેઃ
મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીમાં તેની આઠ મેચ હારી ચૂકી છે. જો તે તેની બાકીની 6 મેચ જીતી જાય તો પણ તેના માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ લાગે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) પણ અત્યાર સુધીમાં 6-6 મેચ હારી ગઈ છે. આ સ્થિતિમાં જો તેને પ્લેઓફમાં પહોંચવું હોય તો તેણે બાકીની તમામ મેચો જીતવી પડશે. જોકે, આ બંને ટીમોની અગાઉની મેચો જોતા આ શક્ય લાગતું નથી.


આ પાંચ ટીમો વચ્ચે પ્લેઓફનો જંગ ખેલાશેઃ
રાજસ્થાન રોયલ્સ 6 જીત સાથે IPL પ્લેઓફમાં પહોંચવાની ખૂબ નજીક છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો પણ 5-5 મેચ જીતીને પ્લેઓફની રેસમાં છે. શક્ય છે કે, આ ત્રણમાંથી કોઈપણ બે ટીમ પ્લેઓફમાં પહોંચી શકે છે. જોકે, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ પણ 4-4 મેચ જીતીને પ્લેઓફમાં રમવા માટે પુરતો પ્રયત્ન કરી રહ્યા છે. આ રીતે, પાંચેય ટીમો પાસે તક છે કે તેઓ 9 થી 10 મેચ જીતીને પ્લેઓફમાં સ્થાન મેળવી શકે છે.