MI Players Ram Mandir Ayodhya: હાર્દિક પંડ્યાની નેતૃત્વ હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે તેમની પહેલી બે મેચ હાર્યા બાદ છેલ્લી મેચમાં મોટી જીત નોંધાવી છે. હવે ટીમ તેની આગામી મેચ માટે લખનઉમાં છે, જ્યાં શુક્રવારે લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ મેચ ઇકાના સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ પહેલા સૂર્ય કુમાર યાદવ, દીપક ચહર, તિલક વર્મા અને ટીમના ઘણા અન્ય ખેલાડીઓ રામલલ્લાના દર્શન કરવા માટે અયોધ્યાના રામ મંદિર પહોંચ્યા હતા.

સૂર્યકુમાર યાદવે રામ મંદિરમાંથી તેની પત્ની સાથેનો ફોટો શેર કર્યો હતો. દીપક ચહરની પત્ની જયા ભારદ્વાજે પણ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. ફોટામાં તિલક વર્મા અને કરણ શર્મા પણ જોવા મળે છે. મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ શુક્રવાર, 4 એપ્રિલના રોજ ઇકાના સ્ટેડિયમ ખાતે લખનઉ સુપર જાયન્ટ્સ સામે છે.

જાન્યુઆરી 2024માં અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહ અને પહેલા માળનું કામ પૂર્ણ થયું ત્યારબાદ 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.  ત્યારથી લઈને અત્યાર સુધી ઘણી મોટી હસ્તીઓ અહીં રામ લલ્લાના દર્શન કરવા માટે આવી છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સ

5 વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આ વખતે 2 હાર સાથે શરૂઆત કરી હતી. પહેલી મેચમાં હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ કરી હતી. ટીમ વાનખેડે સ્ટેડિયમ ખાતે કોલકત્તા સામેની તેની પહેલી મેચ હારી ગઇ હતી. ટીમ લખનઉ સામે ચોથી મેચ રમશે. ટીમ માટે ચિંતાનું કારણ રોહિત શર્માનું ફોર્મ છે, તે ત્રણેય મેચમાં કંઈ ખાસ કરી શક્યો નથી. ટીમની બોલિંગ મજબૂત લાગે છે. અશ્વિની કુમારે પોતાની ડેબ્યૂ મેચમાં 4 વિકેટ લઈને હંગામો મચાવ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટ અને દીપક ચહર પણ સારી લયમાં દેખાઈ રહ્યા છે.