Mohsin Khan's Reaction: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2023ની 63મી લીગ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં લખનઉનો  5 રને વિજય થયો હતો. ટીમને આ જીત અપાવવામાં ફાસ્ટ બોલર મોહસિન ખાને મહત્વની ભૂમિકા નિભાવી હતી. મોહસિન ખાને મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન ટિમ ડેવિડ અને કેમરૂન ગ્રીનની સામે છેલ્લી ઓવરમાં 11 રનનો બચાવ કર્યો હતો. મેચ બાદ પોતાનું દર્દ વ્યક્ત કરતા મોહસિન ખાને કહ્યું હતું કે તેના પિતા એક દિવસ પહેલા જ આઈસીયુમાંથી બહાર આવ્યા હતા.


મેચમાં પ્રથમ બેટિંગ કરતા લખનઉની ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 177 રન બનાવ્યા હતા. ટીમ માટે માર્કસ સ્ટોઇનિસે 89 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. રનનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં 5 વિકેટે 172 રન જ બનાવી શકી હતી.


મોહસિન ખાને મેચ બાદ કહ્યું હતું કે  “મેં પ્રેક્ટિસમાં જે કર્યું છે તેને અમલમાં મૂકવાની યોજના હતી અને મેં એમ જ કર્યુ હતું. કૃણાલ પણ મારી સાથે વાત કરી રહ્યો હતો અને મેં તેને પણ એમ જ કહ્યું હતું. હું મારી જાતને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સ્કોર બોર્ડ તરફ ન જોયું નહોતું અને છ સારા બોલ ફેંક્યા હતા. મેં ધીમા બોલ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં મે યોર્કર ફેંક્યા હતા.


તે મુશ્કેલ સમય હતો, પિતા ICU માં હતા


મોહસિન ખાને વધુમાં કહ્યુ હતું કે તે મુશ્કેલ સમય હતો કારણ કે હું ઈજાગ્રસ્ત હતો એક વર્ષ પછી રમી રહ્યો હતો. મારા પિતા ગઈકાલે જ આઈસીયુમાંથી બહાર આવ્યા હતા અને તેઓ છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં હતા અને મેં આ ફક્ત તેમના માટે જ કર્યું છે, તેઓ જોતા જ હશે. આ મેચમાં મને રમાડવા બદલ હું ટીમ અને સ્પોર્ટ્સ સ્ટાફ, ગૌતમ (ગંભીર) સર, વિજય (દહિયા) સરનો આભારી છું. જોકે મેં છેલ્લી મેચમાં સારું પ્રદર્શન કર્યું ન હતું. નોંધનીય છે કે મોહસિન ખાને મેચમાં 3 ઓવરમાં 26 રન આપીને એક વિકેટ લીધી હતી.


IPL 2023 Points Table: મુંબઈને હરાવી લખનૌ ટોપ-3માં પહોંચ્યું, પ્લેઓફની રેસ ખૂબ જ રોમાંચક બની


LSG vs MI, IPL 2023 Points Table: લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે 5 રનની નજીકની જીત સાથે પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા જીવંત રાખી છે. 13 લીગ મેચોમાં 7 જીત બાદ લખનૌ હવે 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. હવે જો તેઓ તેમની છેલ્લી લીગ મેચ જીતે છે, તો પ્લેઓફમાં તેમનું સ્થાન સંપૂર્ણ રીતે નિશ્ચિત માનવામાં આવશે. લખનૌની ટીમનો હાલમાં નેટ રન રેટ 0.304 છે.


આ મેચમાં મળેલી હારને કારણે મુંબઈ ઈન્ડિયન્સને ચોક્કસ નુકસાન થયું છે. હવે ટીમ 13 મેચ બાદ 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. હવે જો મુંબઈને તેની છેલ્લી લીગ મેચમાં હારનો સામનો કરવો પડે છે, તો તે પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવામાં પણ ચૂકી શકે છે.


ચેન્નાઈને તેની છેલ્લી લીગ મેચમાં જીત મેળવવી પડશે


હાલમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ, જે પોઈન્ટ ટેબલમાં 15 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, તેને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે છેલ્લી લીગ મેચ જીતવી જરૂરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે તેની છેલ્લી લીગ મેચ 20 મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે અને જો તેને આમાં હારનો સામનો કરવો પડે છે તો તે પ્લેઓફમાં સ્થાન મેળવવાથી પણ ચૂકી શકે છે