WTC Final 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં રાજસ્થાન રૉયલ્સના સ્ટાર ઓપનર યશસ્વી જાયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વી જાયસ્વાલને પોતાના શાનદાર પ્રદર્શન માટે ઇનામ મળ્યુ છે. જાયસ્વાલ સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે આવતા મહિને રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભાગ લેશે. જાયસ્વાલ ઋતુરાજ ગાયકવાડની જગ્યાએ ટીમમાં સામેલ થશે.


ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બૉર્ડે WTC ફાઈનલ માટે સ્ટેન્ડ બાય ખેલાડીઓની યાદીમાં ફેરફાર કર્યો છે. અગાઉ ઋતુરાજ ગાયકવાડને ટીમ સાથે સ્ટેન્ડ બાય ઓપનર તરીકે રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે તેની જગ્યાએ યશસ્વી જાયસ્વાલના નામની જાહેરાત કરવામાં આવી છે.


બીસીસીઆઈના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ઋતુરાજ ગાયકવાડ ફાઈનલ મેચ માટે ઉપલબ્ધ નથી. આઈપીએલ ફાઈનલ પછી તરત જ ગાયકવાડ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બીસીસીઆઈ દ્વારા ગાયકવાડને રજા આપવામાં આવી છે. હવે ગાયકવાડની જગ્યાએ યશસ્વી જાયસ્વાલ ટીમ સાથે જોડાઇ જશે. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો જાયસ્વાલને મુખ્ય ટીમનો ભાગ બનાવી શકાય છે.


જાયસ્વાલે કર્યું કમાલનું પ્રદર્શન - 
યશસ્વી જાયસ્વાલે ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં કેટલાય મોટા રેકોર્ડ બનાવ્યા છે. જાયસ્વાલે 14 મેચમાં 48ની એવરેજ અને 164ના સ્ટ્રાઈક રેટથી 625 રન બનાવ્યા હતા. 21 વર્ષીય યશસ્વી જાયસ્વાલ IPLની 16મી સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 બેટ્સમેનોમાં સામેલ છે.


ઘરેલુ ક્રિકેટમાં પણ યશસ્વી જાયસ્વાલે શાનદાર ફોર્મ બતાવ્યું હતું. યશસ્વી જયસ્વાલે ઈરાની ટ્રૉફીની ફાઇનલમાં 213 અને 144 રન બનાવ્યા હતા. યશસ્વી જાયસ્વાલે અંડર-19 વર્લ્ડકપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને ત્યાર બાદ તેને IPLમાં રાજસ્થાન રૉયલ્સ તરફથી રમવાની તક મળી. 21 વર્ષની નાની ઉંમરે યશસ્વી જાયસ્વાલે બતાવ્યું છે કે તે લાંબી રેસનો ઘોડો છે અને બીસીસીઆઈએ તેના પર સટ્ટાબાજી કરવામાં પાછળ ન રહેવું જોઈએ.


 


WTC Final 2023: આજે ઇગ્લેન્ડ જવા રવાના થશે વિરાટ કોહલી સહિત ભારતના આ ખેલાડીઓ


India vs Australia, WTC Final 2023: ભારતીય ટીમે ઈંગ્લેન્ડમાં 7 જૂનથી ઓસ્ટ્રેલિયન ટીમ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ રમવાની છે. જેને લઈને ભારતીય ટીમના ખેલાડીઓને 3 બેચમાં ઈંગ્લેન્ડ મોકલવામાં આવશે. ભારતીય ખેલાડીઓની પ્રથમ બેચમાં એ ખેલાડીઓ સામેલ છે જેમની ટીમ IPLની 16મી સીઝનના પ્લેઓફમાં પહોંચી શકી નથી. આ ખેલાડીઓ આજે એટલે કે 23, મેના રોજ ઇગ્લેન્ડ જવા રવાના થશે. જેમાં વિરાટ કોહલી ઉપરાંત રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવ મુખ્ય ખેલાડી તરીકે સામેલ છે.


ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં પ્રથમ બેચ આજે ઈંગ્લેન્ડ જવા રવાના થશે. RCB પ્લેઓફમાં ન પહોંચી શકયા બાદ વિરાટ કોહલી પણ WTC ફાઈનલ મેચની તૈયારી માટે પ્રથમ બેચ સાથે રવાના થઈ રહ્યો છે અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ તેમાં સામેલ છે. બીસીસીઆઈના સૂત્રએ પીટીઆઈને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ટીમ કુલ 2 કે 3 બેચમાં રવાના થશે.


જયદેવ ઉનડકટ પણ ઈંગ્લેન્ડ જવા રવાના થશે


IPLની 16મી સીઝનમાં નેટ્સમાં પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલો ઝડપી બોલર જયદેવ ઉનડકટ પણ પ્રથમ બેચ સાથે ઈંગ્લેન્ડ જવા રવાના થશે. ઉનડકટ હજુ ખભાની ઈજામાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો નથી. BCCIની મેડિકલ ટીમ લંડનમાં તેની ફિટનેસ પર સતત નજર રાખશે અને તે મુજબ ઉનડકટના રમવા અંગે નિર્ણય લેવામાં આવશે.જયદેવ ઉનડકટ અંગે બીસીસીઆઈના એક અધિકારીએ ઈનસાઇડ સ્પોર્ટને આપેલા નિવેદનમાં જણાવ્યું કે જયદેવ ટીમ સાથે પ્રવાસ કરી રહ્યો છે. પરંતુ તે હજુ સુધી મેચ માટે ફિટ નથી. તેણે હમણાં જ થોડી બોલિંગ શરૂ કરી છે. પરંતુ અમને આશા છે કે તે આવતા સપ્તાહ સુધીમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.